નવી દિલ્હીઃ ભારતીય રેલવેમાં મુસાફરી કરનાર મુસાફરો માટે સારા સમાચાર આવી ગયા છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) અને ફેડરેશન ઓફ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન્સ ઓફ ઈન્ડિયા એ પ્રવાસીઓને વધુ સારી સુવિધા પૂરી પાડવા માટે કરાર કર્યો છે. આ કરાર હેઠળ FHRAI સભ્યો આઈઆરસીટીસી અને તેની સહયોગી વેબસાઇટની મદદથી બુકિંગ માટે તેમના હોટલના રૂમ ઉપલબ્ધ કરાવશે
એક નિવેદનના અનુસાર, આ કરાર હેઠળ આઈઆરસીટીસી હોટલને 3 સ્ટાર હોટલ અથવા તેના સમકક્ષ હોટલોને આપવામાં આવતા કમિશનમાં 2 ટકાની છૂટ આપવામાં આવશે. ડિસ્કાઉન્ટ મેળવવા માટે હોટેલને FHRAI અથવા તેના ક્ષેત્રીય સંગઠનો સાથે જોડાયેલ હોવું આવશ્યક છે.
FHRAIના ઉપપ્રમુખ ગુરૂબક્ષિશ સિંહ કોહલીએ કહ્યું કે, “આ કરારથી આઈઆરસીટીસી યુઝર્સ દેશભરની 55,૦૦૦ થી વધુ હોટલોમાંથી સારી હોટલ પસંદ કરી શકશે.” આ બધી હોટલો ત્રણ સ્ટાર અથવા તેનાથી ઉપરની કેટેગરીની છે અને તે તમામ મૂળભૂત સુવિધાઓ, સ્વચ્છતા અને સલામતીના આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરે છે.
કોહલીએ વધુમાં કહ્યું કે આનાથી આઈઆરસીટીસી યુઝર્સ પોર્ટલ દ્વારા મુસાફરી સાથે દેશમાં ક્યાંય પણ ગુણવત્તાવાળા રૂમ બુક કરાવી શકશે.
આઈઆરસીટીસી અને FHRAI વચ્ચેની ભાગીદારી ત્રણ વર્ષના સમયગાળા માટે છે અને તેને કોઈપણ ફી વગર સંમતિથી દર ત્રણ વર્ષે લંબાવી શકાય છે. આ ઉપરાંત, 31 જુલાઇ 2021 સુધીમાં પ્રાપ્ત થયેલી તમામ નવી અરજીઓ પર લાગુ વન-ટાઇમ એકીકરણ શુલ્ક માફ કરવામાં આવશે. સભ્યોને વર્ગીકૃત કરવા માટે કોઈ અલગ પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર નથી.