સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણીની માલિકીની કંપની આરકોમને પોતાની અસ્કયામતો મુકેશ અંબાણીની Jioને વેચવાની મનાઈ કરતા હુકમ પર રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એકે ગોયલ, આરએફ નરિમાન અને યુયુ લલિતની બેંચે બોમ્બે હાઈકોર્ટના તે ઓર્ડર પર મનાઈ કરવાનો હુકમ કર્યો છે કે જેમાં આરકોમને તેની અસ્કયામતો વેચવા પર રોક લગાવાઈ છે.
કોર્ટ વિવિધ બેંકો અને આરકોમને અસ્કયામતો વેચવા દેવા માટે કરવામાં આવેલી અરજી પર વધુ સુનાવણી 5મી એપ્રિલે કરશે. આરકોમ પર 42,000 કરોડ રુપિયાનું દેવું છે જેને ભરપાઈ કરવા માટે તે પોતાની એસેટ્સ Jioને વેચવા માગે છે. Jio પણ તેને ખરીદવા માટે તૈયાર છે. જોકે, એરિક્સન કંપનીએ પોતાના બાકી નીકળતા નાણાં આરકોમે ચૂકવ્યા ન હોવાનો આરોપ મૂકી તેને પોતાની એસેટ્સ જિયોને વેચતા અટકાવવા કોર્ટમાં અરજી કરી હતી.
એરિક્સનની અરજીને બોમ્બે હાઈકોર્ટે બહાલી આપતા આરકોમ એરિક્સનને બાકી નીકળતા નાણાં ચૂકવ્યા વિના પોતાની એસેટ્સ જિયોને ન વેચી શકે તેવો આદેશ આપ્યો હતો. જેની સામે આરકોમને લોન આપનારી વિવિધ બેંકો અને આરકોમે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જોકે, કોર્ટે પણ હાલ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપવાનો ઈનકાર કરી વધુ સુનાવણી આવતા મહિને કરવા જણાવ્યું છે.
આરકોમને એસબીઆઈ સિવાય કેનેરા બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, પીએનબી, આઈડીબીઆઈ, યુકો, દેના બેંક, કોર્પોરેટ બેંક, યુનિયન બેંક, યુનાઈટે બેંક તેમજ એલઆઈસીએ મોટી લોનો આપેલી છે. આ બેંકો પોતાની બાકી નીકળતી લોન વસૂલવા માટે આરકોમની એસેટ્સ જિયોને વેચાય તે માટે સક્રિય છે.
આરકોમ પોતાના 1.78 લાખ કિલોમીટરના ફાઈબર ઓપ્ટિક્સ તેમજ સ્પેક્ટ્રમને જિયોને 17,300 કરોડમાં વેચવા માગે છે. આ ઉપરાંત દિલ્હી અને ચેન્નૈમાં પોતાની બે પ્રોપર્ટી વેચી 800 કરોડ મેળવવાનો પણ કંપનીનો પ્લાન છે. જોકે, આ સોદા ફાઈનલ થયા ત્યારે એરિક્સને આરબિટ્રલ ટ્રિબ્યુનલમાં તેની સામે ફરિયાદ કરી હતી. એરિક્સનનો આરોપ છે કે તેને આરકોમ પાસેથી 1150 કરોડ રુપિયા લેવાના નીકળે છે.
5 માર્ચના રોજ ટ્રિબ્યુનલે એરિક્સનની તરફેણમાં ચુકાદો આપતા આરકોમને પોતાની એસેટ્સ જિયોને વેચવા પર સ્ટે મૂકી દીધો હતો. જેની સામે આરકોમે બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ તેને ત્યાંથી પણ કોઈ રાહત નહોતી મળી. આરકોમ પાસેથી એસબીઆઈએ જ 4027 કરોડ રુપિયા લેવાના નીકળે છે.
મહત્વનું છે કે, જિયોના આગમન પછી ભારતીય ટેલિકોમ સેક્ટરમાં ભૂકંપ સર્જાયો છે, અને દરેક કંપનીની બેલેન્સ શિટમાં ધરખમ ફેરફાર થયા છે. તેવામાં અનિલ અંબાણીની પહેલાથી જ મુશ્કેલીમાં રહેલી કંપની આરકોમનું ટકવું મુશ્કેલ થઈ જતાં જિયોના આગમન પછી અનિલે આરકોમના પાટીયા પાડી દીધા હતા. હાલ કંપની પર જંગી દેવું છે જેને ભરવા અનિલ અંબાણી આરકોમની એસેટ્સ વેચવા માગે છે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.