ઇસ. 1929માં કોંગ્રેસે લાહોર અધિવેશનમાં જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો અને 26મી જાન્યુઆરી 1930ના રોજ ભારતનો સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવ્યો. પૂર્ણ સ્વરાજ માટે સવિનય કાનૂનભંગ આંદોલન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત મીઠાના કાયદાના ભંગ માટે ગાંધીજી અને તેમના 78 સાથીઓ દ્વારા દાંડી કુચ કરવામાં આવી જેમાં અમદાવાદ થી નવસારી નજીકના દાંડી સુધી પગપાળા યાત્રા યોજીને મીઠાના કાયદાનો ભંગ કર્યો. આના લીધે સમગ્ર વિશ્વનું ધ્યાન ભારત પ્રત્યે કેન્દ્રિત થયું અને ભારતીય લોકોમાં પણ એકતાની જ્યોત પ્રગટી. આ સાથે લંડનમાં ભારતીય પ્રશ્નોના ઉકેલ માટે વારાફરતી ત્રણ ગોળમેજી પરિષદ યોજાઈ પરંતુ ત્રણે પરિષદ નિષ્ફળ રહી. દરમિયાન અંગ્રેજોએ અહિંસક લડત કાબુમાં રાખવા ભારતીય લોકોની કોમી એકતા પર કુઠારાઘાત કર્યો અને દલિતોના પણ અલગ મતદાર મંડળ રચવામાં આવ્યાં.
ઇસ 1939માં જર્મની અને બીજાં ધરી રાષ્ટ્રો વિરુદ્ધ ઇંગ્લેન્ડ અને બીજા મિત્રદેશો વચ્ચે દ્વિતીય વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. જેમાં ભારતીય પ્રજા અને કોંગ્રેસી નેતાઓની અનિચ્છા છતાં બ્રિટિશ હિન્દ સરકારે ભારતને પણ ઇંગ્લેન્ડ અને મિત્રરાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં સામેલ કરી દીધું. આથી દેશભરમાં અંગ્રેજો વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો. ભારતીય કોંગ્રેસે ઓગસ્ટ 1942માં ‘કરેંગે યા મરેંગે’ના સૂત્ર સાથે હિન્દ છોડો આંદોલનનો ઠરાવ પસાર કર્યો. જેમાં સમગ્ર પ્રજા સ્વયંભૂ રીતે જાગૃત થઈને આ લડત પોતાના ખભે ઉપાડી લીધી. આ ઉગ્ર લડતના લીધે અંગ્રેજો સમસમી રહ્યા જોકે તેમને પણ ખાતરી થઈ ગઈ હતી કે હવે ભારતની ગાદી પર લાંબો સમય રાજ કરી શકાશે નહીં.
મહાત્મા ગાંધી અને કોંગ્રેસ સાથે મતભેદ થતાં સુભાષચંદ્ર બોઝ તેનાથી અલગ થયા અને ભારતમાંથી અંગ્રેજોની નજરકેદની બેડીમાંથી છટકીને તેઓ બર્લિન પહોંચ્યા હતા. ત્યાંથી જાપાન જઈ સુભાષબાબુએ રાસબિહારી બોઝ સાથે મળીને ‘આઝાદ હિન્દ ફોજ’ ની રચના કરી. આ ફોજ દ્વારા ભારતીય સીમાડે કોહિમા સુધી પેસારો કરીને અંગ્રેજ સેનામાં તરખાટ મચાવી દીધો. પરંતુ વિષમ કુદરતી સંજોગોને કારણે ફોજે પીછેહઠ કરવી પડી. ત્યારબાદ દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાનનો પરાજય થતાં આઝાદ હીંદ ફોજનો પણ પરાજય થયો.
દ્વિતીય વિશ્વવિગ્રહમાં બ્રિટનનો વિજય તો થયો હતો પરંતુ આ યુદ્ધે બ્રિટનની આર્થિક કરોડરજ્જુના અનેક મણકા તોડી નાખ્યા હતા. અંગ્રેજ પ્રજાને પણ આ વાતનું ભાન થતાં ત્યાંની 1946ની સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન તરીકે યુદ્ધખોર માનસના રૂઢીચુસ્ત નેતા વિસ્ટન ચર્ચિલના સ્થાને પ્રગતિશીલ મજૂર નેતા ક્લેમેન્ટ એટલીને ચૂંટી કાઢવામાં આવ્યા. એટલી એક વાત ચોક્કસપણે માનતા હતા કે બ્રિટનને જો આર્થિક રીતે ફરીપાછું બેઠું કરવું હશે તો સૌપ્રથમ પોતાના ઘર પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને આના માટે ભારત જેવાં બ્રિટિશ સંસ્થાનોને હવે છોડવા પડશે. આથી તેમણે ભારતને આઝાદી આપવાની ઘોષણા કરી અને લોર્ડ માઉન્ટબેટનને વાઇસરોય બનાવી ભારત મોકલ્યા.
અહીં ભારતને સ્વતંત્રતા આપતી વખતે પણ અંગ્રેજો પોતાના ટ્રેડમાર્ક સમાન ભાગલા પાડોની નીતિ ના ચુક્યા અને ભારતના હિન્દૂ-મુસ્લિમ લોકો વચ્ચે ધર્મના નામે ભારત અને પાકિસ્તાન એમ બે દેશોની રચના કરી. 14 ઓગસ્ટ 1947ના પાકિસ્તાન અલગ પડ્યું અને તારીખ 15મી ઓગસ્ટ 1947ની મધરાત્રે ખંડિત ભારતને બ્રિટિશ શાસનની બેડીઓમાંથી મુક્તિ મળી અને સ્વતંત્રતાનો સૂરજ ઉગ્યો.