નવી દિલ્હીઃ વિશ્વમાં આખા કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ઉપર પ્રતિબંધ લાદવાનો મહત્વનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયની સમયસીમા 28 ફેબ્રુઆરી 2021ના રોજ પુરી થવા જઈ રહી હતી. ત્યારે કેન્દ્ર સરકારે આ સમય સીમાને 31 માર્ચ સુધી લંબાવવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન DGCA એ શુક્રવારે એક પત્રમાં આ માહિતી આપી હતી.
DGCAના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જોકે પસંદગીના માર્ગો પર સક્ષમ અધિકારી દ્વારા કેસ-ટુ-કેસ આધારે આંતરરાષ્ટ્રીય શેડ્યૂલ ફ્લાઇટ્સને મંજૂરી આપવામાં આવી શકે છે. જો કે, DGCAએ કહ્યું છે કે આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય ઓલ-કાર્ગો ઓપરેશન્સ અને વિશિષ્ટ પરવાનગી સાથેની ફ્લાઇટ્સ પર લાગુ નહીં થાય.
મહત્વનું છે કે કોરોના વાયરસ રોગચાળાને કારણે, નિયમિત આંતરરાષ્ટ્રીય પેસેન્જર એરલાઇન 23 માર્ચથી સસ્પેન્ડ કરવામાં આવી છે. જો કે, વંદે ભારત અભિયાન અને એર બબલ સિસ્ટમ હેઠળ, ખાસ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને મે મહિનાથી અમુક દેશોમાં સંચાલન કરવાની મંજૂરી છે. ભારતે અમેરિકા, યુકે, સાઉદી અરેબિયા, કેન્યા, ભૂટાન અને ફ્રાન્સ સહિતના 27 દેશો સાથે એર બબલ કરાર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે સ્થાનિક ફ્લાઇટ્સનું સંચાલન સતત વધી રહ્યું છે. કોરોના પહેલાંના સ્તરની તુલનામાં ભારતીય કેરિયર્સ માટેની સ્થાનિક ફ્લાઇટ્સ મુસાફરોની કુલ કેપેસિટીના 70 ટકાની મંજૂરી હતી અને તેને વધારીને 80 ટકા કરવામાં આવી છે.
એરલાઇન્સ પૂર્વ-કોરોના સ્તરથી ઉપરની 70 ટકા સ્થાનિક પેસેન્જર ફ્લાઇટ્સનું સંચાલન કરી શકે છે. ગત વર્ષે 25 મેના રોજ 30 હજાર મુસાફરો સાથે ઘરેલું કામગીરી શરૂ થઈ હતી અને 30 નવેમ્બર 2020 ના રોજ 2.52 લાખ મુસાફરોનું વહન થયું હતું.