પ્રાકૃતિક ખેતી થકી બાગાયતમાં નવા પ્રયોગો કરી વિદેશી ફળોનો પાક લેતા માણસા તાલુકાના લોદરા ગામના ખેડૂત
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલ લોદરા ગામના વતની કાંતિભાઈ સોમાભાઈ પટેલ આજે રસાયણ મુક્ત બાગાયતી ખેતીમાં નવા આયામો સર કરી રહ્યા છે. તેઓ આ સફળ પ્રયાસ પાછળનું મૂળ કારણ સરકારની વિવિધ યોજનાઓ અને પ્રાકૃતિક ખેતીને આભારી ગણતા જણાવે છે કે, વર્ષોથી પેઢી દર પેઢી તેઓ ખેતીનો વ્યવસાય કરતા આવ્યા છે.લોદરામાં તેઓ પહેલાં એવા ખેડૂત છે જે વર્ષોથી માત્ર બાગાયતી પાકની ખેતી કરે છે. એમ.કોમના અભ્યાસ બાદ તેમણે મૂળ ખેતીનાજ વ્યવસાયને પ્રાધાન્ય આપતા પૈતૃક વ્યવસાયમાંજ આગળ નવા શિખરો સર કરવાનું નક્કી કર્યું. આજે તેઓ સફળતાપૂર્વક બાગાયત ખેતી કરી રહ્યા છે, એટલું જ નહીં બાગાયતમાં નવા નવા પ્રયોગો દ્વારા વિદેશી ધરતી અને વાતાવરણના ફળોની ખેતી વિકસાવા તરફ પણ આગળ વધી રહ્યા છે.
કાંતિભાઈએ એક થી દોઢ વીઘા જમીનમાં ડ્રેગન ફ્રુટ ની ખેતી કરેલ છે. જેમાં સરકાર તરફથી તેમને સહાય પ્રાપ્ત થઈ છે. તેઓ આ વિશે જણાવે છે કે આ ડ્રેગન ફ્રુટની ખેતીમાં માવજત અને ખર્ચાનું પ્રમાણ વધુ છે, પરંતુ જ્યારે ફળ આવવાનું શરૂ થાય છે, ત્યારે લગભગ એક થાંભલે ચડાવેલા ચાર જેટલા છોડમાંથી ઓછામાં ઓછા ૧૫ થી ૨૦ કિલો ફળ મળે છે. આ એક થાંભલા પાછળ નો કુલ ખર્ચ લગભગ ૯૦૦ રૂપિયા થાય છે. એક સારા ડ્રેગન ફ્રુટ ની કિંમત રૂપિયા ૮૦થી ૧૦૦ ગણીએ તો પણ દેખીતો નફો મળી જ રહે છે.
આ ખેતીની જાણકારી દોઢ બે વર્ષ પહેલાં તેમના દિકરાને બાગાયત ખાતાની સોશિયલ મીડિયા સાઈટ પરથી મળી હતી. ત્યારબાદ તેમણે બાગાયત ખાતાની રૂબરૂ મુલાકાત લઈ ડ્રેગન ફ્રુટ ની ખેતી તથા સરકાર તરફથી મળતી સહાયની માહિતી લીધી અને ખેતી શરૂ કરી. કાંતિભાઈ વધુમાં જણાવે છે કે તેમને આ સહાય મળવાથી સાહસ કરવાનો ડર ન લાગ્યો કારણ કે બાગાયત અને ખેતીવાડી વિભાગમાંથી મને હંમેશા પ્રોત્સાહન ,સમજ અને સરકારી સહાયની માહિતી મળે છે.
સરકારી સહાયની વાત કરવામાં આવેતો પોતાનું ગોડાઉન બનાવવા માટે તેમને સરકાર તરફથી રૂપિયા ૫૦ હજારની રોકડ સહાય સબસિડી રૂપે મળી છે. ત્યારબાદ અંડરગ્રાઉન્ડ હોજ માટે રૂપિયા ૫૦ હજારની, ડ્રીપ માટે રૂપિયા ૯૦ હજાર, ડ્રેગન ફ્રુટની ખેતીના સહાયરૂપે રૂપિયા ૯૦ હજારની સબસીડી મળતા તેઓ આજે આ વિદેશી ફળોની ખેતીનું પણ સાહસ કરી રહ્યા છે.
વધુમાં કાંતિભાઈ જણાવે છે કે, ખેતીમાં સૌથી મોટો પ્રશ્ન વીજળીનો હતો. ગુજરાત સરકારે પાંચ હોર્સ પાવર વીજળી ત્રણ પેજ કનેક્શન, એક યુનિટી ૬૦ પૈસા લેખે કાયમી ધોરણે આપતા આ પ્રશ્નનો ઉકેલ લાવી આજે ખેડૂતોની આ મૂંઝવણ હંમેશા માટે દૂર કરી છે.
કાંતિભાઈ ની સફળતાથી ગામ અને તાલુકાના અન્ય ખેડૂત મિત્રો પણ બાગાયત ખેતી કરવા પ્રેરાઈ લોદરામાં અન્ય બે ખેડૂતોએ પણ બાગાયતી ખેતી પ્રાકૃતિક પદ્ધતિથી શરૂ કરીને આંબા અને જામફળ ની ખેતી કરી રહ્યા છે. કાંતિભાઈએ પોતાના જમીનમાં અમુક હિસ્સો માત્ર ખેતીના પ્રયોગો માટે રાખ્યો છે.પ્રાકૃતિક ખેતીને કારણે જમીન રસ-કસ વાળી રહે છે, જેના કારણે તેઓ અમેરિકન ફ્રુટ એવાકાડો, અંજીર, સ્ટ્રોબેરી, જામફળ, ચેરી, સફરજન, બ્લેક જામફળ, તમાલપત્ર, સ્ટાર ફ્રુટ (કમરખ), લીચી, કાજુ, રુદ્રાક્ષ, એપલ બોર, ફણસ, સફેદ જાંબુ વગેરે જેવા ફળોના છોડ વાવી તેની માવજત, જમીન, વાતાવરણની અનુકૂળતા વગેરેને તપાસી યોગ્ય બાગાયત માટે લોદરાની ધરતી પર નવતર પ્રયોગો કરી રહ્યા છે. તથા અન્ય ખેડૂતોને આ અંગે બળ પૂરું પાડવા સરકારના હસ્તક શિક્ષણ શિબિર થકી પ્રેરણા આપી રહ્યા છે. તેમના પગલે આજે તેમના દીકરા દીકરી પણ ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ ખેતી વાડીના વ્યવસાયમાંજ રહી આ વ્યવસાય ને સફળ બનાવવા ખેતીમાં પિતાની સાથે કદમથી કદમ મિલાવી ચાલી રહ્યા છે.
કાંતિભાઈ સરકારને ધન્યવાદ કરતા જણાવે છે કે, ‘સરકારે અમારા જેવા ખેડૂતોની માત્ર આર્થિક જ નહીં પરંતુ નાનામાં નાના પ્રશ્નોની દરકાર કરી છે.’ તેમની વાત સાચી છે આજે ખેડૂતોને ખેતીને લગતો કોઈ પણ પ્રશ્ન મૂંઝવે તો તેમને બાગાયત કે ખેતીવાડી વિભાગના કર્મચારીઓ તરત આવી, અથવા ફોન પર તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવે છે. જેથી ખેડૂતો ક્યાંય હવે અટકી પડતા નથી. ઉત્પાદન વધારવાની લાલચમાં રસાયણ પદાર્થો ખેતીમાં વાપરી જનહિત અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા કરતાં પ્રાકૃતિક રીતે ખેતી કરવાથી અનેક ફાયદા થાય છે.જમીનનું અને જન-જનનું સ્વાસ્થ્ય જળવાય છે,ખર્ચ ઘટે છે અને ગુણવત્તા યુક્ત ઉત્પાદન પણ મળે છે,ભાવ પણ વધુ મળે છે.તેવું સ્પષ્ટ જણાવતા કાંતિભાઈ કહે છે, ‘પોતે તો વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરું છું અને અન્યને ખેડૂત મિત્રોને પણ આ તરફ વાળવા પ્રયાસ કરી રહ્યો છું.કારણ પ્રાકૃતિક ખેતી એ ખેડૂતોની સમૃદ્ધિ માટે મજબૂત વિકલ્પ છે’