ભારતીય જનતા પક્ષમાંથી કોંગ્રસમાં પક્ષાંતર કરી જતાં રાજકીય આગેવાનો કોંગ્રેસનાં કલ્ચરમાં ભળી શકતા નથી. છેલ્લું ઉદાહરણ અમરેલીના હનુભાઈ દોરાજીયા છે. 2013માં ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. બાદમાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલ ધારાસભ્ય બાવકુ ઉંઘાડે રાજીનામું આપતાં ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી 2014માં લડી હતી. લોકસભાની ચૂંટણી સાથે લાઠી-બાબરા બેઠક ઉપરથી હનુભાઈ ધોરાજીયાએ કોંગ્રેસમાંથી ભાજપનાં બાવકુ ઉંધાડ સામે વધુ એક વખત હારનો સામનો કરવો પડયો હતો. હનુભાઈ ધોરાજીયાને સને 2017ની ધારાસભાની કોંગ્રેસે ટીકીટ નહીં આપતાં તેઓ કોંગ્રેસ પક્ષથી નારાજ જોવા મળતાં હતા. આખરે તેમણે ફરી એક વખથ પક્ષાંતર કર્યું હતું. આમ કોંગ્રેસમાં બાવકું ઉંધાડ પણ હતા અને હનુભાઈ પણ હતા બન્નેએ કોંગ્રેસનું રાજકીય કલેવર ફાવ્યું નહીં અને ફરી તેઓ માતૃસંસ્થા ભાજપમાં પક્ષાંતર કરી ગયા હતા.
અમરેલી જિલ્લાનાં લીલીયા તાલુકાનાં હાથીગઢ ગામનાં વતની અને હાલ સુરત વ્યવસાય કરતાં પૂર્વ ધારાસભ્ય હનુભાઈ ધોરાજીયા આખરે ફરીથી ભાજપનો ખેસ પહેરી લઈ પોતાની ઘર વાપસી કરતાં કોંગ્રેસ પક્ષનાં વધુ એક આગેવાન ભાજપમાં ભળી ગયા છે.
પૂર્વ ધારાસભ્ય હનુભાઈ ધોરાજીયા સુરત ખાતે વ્યવસાય કરે છે. ત્યારે તેમના વતન હાથીગઢનાં વતની હોવાના કારણે હનુભાઈ ધોરાજીયાને જિલ્લા ભાજપનાં આગેવાનોની ભલામણનાં કારણે સને ર007ની ધારાસભાની ચૂંટણી સમયે તેઓ ભાજપમાંથી લાઠી-લીલીયામાંથી ચૂંટાઈ આવ્યા હતા.
જયારે સને 2012ની ધારાસભાની ચૂંટણીમાં ભાજપે ફરી તેને નવા સીમાંકન પ્રમાણે લાઠી-બાબરા બેઠક થતાં ભાજપે ટીકીટ આપી હતી. 2012ની ધારાસભાની ચૂંટણીમાં તે સમયે બાવકુ ઉંઘાડ સામે હનુભાભાનો પરાજય થયો હતો.