વડોદરાઃ પરીક્ષા આપ્યા બાદ પરીક્ષામાં નાપાશ થતાં હતાશ થઈને વિદ્યાર્થીઓ આત્મહત્યા કરતા હોય છે. જોકે, વડોદરામાં બનેલી આત્મહત્યાની ઘટનામાં વિદ્યાર્થીએ પરીક્ષા પહેલા જ આત્મહત્યા કરી લીધી હતી. અહીં શહેરનાં જૂના પાદરા રોડ પર આવેલા ભદ્રલોક એપાર્ટમેન્ટમાં રહેતા અને કોલેજના બીજા વર્ષમાં ભણતા 19 વર્ષના આયુષે 9માં માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. બપોરે 2 કલાકે તેની ઓનલાઇન પરીક્ષા હતી અને 10 વાગે અચાનક આ અંતિમ પગલું ભર્યું હતું. હાલ આ પગલા પાછળનું કારણ સામે આવ્યું નથી. પોલીસે મૃતદેહને સયાજી હૉસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે મળતી માહીતી પ્રમાણે, શહેરના જૂના પાદરા રોડ પર ભદ્રલોક ફ્લેટના 9માં માળે રાજેશ રમણ કુમાર બેન્ક ઓફ બરોડાની રિજનલ બ્રાન્ચમાં નોકરી કરે છે. તેમના પરિવારમાં પત્ની અને પુત્રી અને પુત્ર એમ બે સંતાન છે. 19 વર્ષનો પુત્ર આયુષ ચંડીગઢની કોલેજમાં બી.ટેકના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.
હાલમાં કોરોનાના કારણે તે ઘરેથી જ ઓનલાઇન અભ્યાસ કરતો હતો. બુધવારે બપોરે 2 વાગ્યે તેની ઓનલાઈન પરીક્ષા હતી. જેના ચાર કલાક પહેલાં એટલે સવારે 10 વાગ્યાની આસપાસ તેણે 9માં માળની ગેલેરીની બારીમાંથી કૂદકો માર્યો હતો. 9માં માળેથી નીચે પટકાતા આયુષનું સ્થળ પર જ મોત થયું હતું.
ઓ.પી રોડ પર આવેલા ભદ્રલોક ફ્લેટના સી ટાવરના 9માં માળેથી કૂદતા આયુષના પડતા ધડાકા સાથે અવાજ આવ્યો હતો. જેના કારણે ફ્લેટનાં લોકો બહાર આવ્યા હતા. જે બાદ સિક્યુરિટી ગાર્ડ ત્યાં દોડી ગયા હતા. બનાવથી અજાણ પરિવારને 9માં માળે પહોંચી જ્યારે સિક્યુરિટી ગાર્ડે ઘટના અંગે જણાવ્યું હતું. આ સાંભળતા તેમના પગ નીચેથી જમીન ખસી ગઇ હતી. પિતા રાજેશ કુમાર પણ ઓફિસમાંથી ઘરે દોડી આવ્યા હતાં. પુત્રના મૃતદેહ પાસે પરિવારનાં આક્રંદથી પથ્થર દિલ પીગળી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
માતા વલોપાત કરતાં કહી રહી હતી કે, ગઈકાલે જ આયુષે કહ્યું હતું કે તે, 23 વર્ષની ઉંમરે એન્જિનિયરીંગ પૂરું કરશે. પછી IIM કરવાનો છે. ત્યારબાદ UPSCની તૈયારી કરવાનું કહેતો હતો. હું UPSCની તૈયારી વખતે જોબ નહી કરું. ત્યારે મેં તેને કહ્યું હતું કે તારે ક્યાં જોબ કરવાની જરૂર છે.