વલસાડમાં અનેક ગેરકાયદે બાંધકામોની ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે શહેરના છેવાડે આવેલા ગુંદલાવમાં ભાજપના આગેવાન એવા બિલ્ડર કાળુભાઇ આહીરે તલાટી સાથેના મેણાપીપણામાં રહેણાંકની પરમિશન લઈ કોમર્શિયલ બાંધકામ ઉભુ કરી દેવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ગુંદલાવ ખાતેના નિશાળ ફળિયા સ્થિત બ્લોક સરવે નંબર 302 વાળી જગ્યા કે જે કાળુભાઇ ભીખાભાઇ આહીરના નામે ચાલી આવેલ છે તે જગ્યા ઉપર ચાલી રહેલા નીલકંઠ રેસિડેન્સી નામના પ્રોજેકટમાં બિલ્ડર કાળુંભાઈ એ રહેણાંકની પરમિશન લીધા બાદ અહીં કોમર્શિયલ ગેરકાયદે 16 દુકાનોનું બાંધકામ કરતા મામલો વિવાદમાં આવ્યો છે.
વિગતો મુજબ ગુંદલાવના બિલ્ડરે અહીં ગ્રામપંચાયત માંથી રહેણાક હેતુ ની પરમિશન માંગતા તા.24/9/2019ના ઠરાવ મુજબ સામાન્ય સભામાં નગર નિયોજન ના મંજુર થયેલા પ્લાન મુજબ રહેણાંકની પરવાનગી મળી હતી.
દરમિયાન જેતે સમયના તલાટીએ તા.16/4/2021ના રોજ આ પ્લાનમાં 16 જેટલી દુકાનોની આકરાણી કરી દેતા આ મામલે શરતભંગ અને ગેરરીતિ થઈ હોવાનો મામલો સામે આવતા હવે રાજકીય પીઠબળ ધરાવતા આ બિલ્ડર વિરુદ્ધ તાલુકા વિકાસ અધિકારી શુ પગલાં ભરે છે તેતો સમય બતાવશે પણ આ પ્રકારના ગેરકાયદે વહીવટ ને જવાબદારો શંકાના ઘેરામાં આવી ગયા છે અને પૈસા લઈ ખેલ પાડ્યો હોવાની વાતો એ ભારે ચકચાર જગાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કાળુભાઇ આહીર વલસાડ જિલ્લા ભાજપમાં વ્યાપાર સેલમાં મોભાદાર સભ્યનું સ્થાન ધરાવે છે અને ભાજપનું રાજકીય પીઠબળ હોય તેઓનું આ ગેરકાયદે બાંધકામ ભારે વિવાદ ઉભો કરી રહ્યું છે.