ચીન માટે અભિશાપ બનેલા કોરોના વાઈરસની મહામારી વચ્ચે ભારત સરકાર અહીં ફસાયેલા તેમના નાગરિકોને પરત બોલાવી રહી છે. શનિવારે એર ઈન્ડિયાની સ્પેશિયલ ફ્લાઈટ ચીનથી 324 ભારતીયોને લઈને દિલ્હી પહોંચી હતી. આ ઉપરાંત રવિવારે પણ એર ઈન્ડિયાનું વધુ એક વિમાન 323 ભારતીયોને લઈને નવી દિલ્હી પહોંચ્યું છે. તેમાં 7 માલદિવના સિટિઝન્સ પણ છે. બીજી બાજુ ભારતે ચીનના નાગરિકો અને ત્યાંથી આવતા વિદેશીઓ માટેના ઈ-વિઝા સસ્પેન્ડ કરી દીધા છે. ચીનમાં શનિવાર સુધી કોરોના વાઈરસમાં 304 લોકોના મોત થયા છે. માલદિવના વિદેશ મંત્રી અબ્દુલા શાહિદે કહ્યું છે કે, અમારા નાગરિકો થોડા દિવસ દિલ્હી કેમ્પની દેખરેખમાં રહેશે. વુહાનથી આવેલા દરેક નાગરિકોને લઈને આઈટીબીપી અને ભારતીય સેનાના જવાન તેમને ઓબ્ઝર્વેશન કેન્દ્ર લઈ ગયા છે. આ દરમિયાન કેરળમાં બીજો કોરોના વાઈરસનો પોઝિટિવ કેસ નોંધાયો છે. કેરળના સ્વાસ્થય મંત્રી કે કે શૈલજાએ કહ્યું કે, પીડિત યુવકને અલાપુઝા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. હજી સુધી અમને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી પાસેથી તેનો રિપોર્ટ નથી મળ્યો. એવી શક્યતા છે કે, તે કોરોના વાઈરસથી પીડિત છે. પરંતુ અમે રિપોર્ટ મળ્યા પછી જ ખુલાસો કરી શકીશું. ચીનમાં પણ વાઈરસના કારણે મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. ચીન સરકાર તરફથી રવિવારે આપવામાં આવેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 45 લોકોના મોત થયા છે. ચીનમાં કોરોનાના કારણે મૃતકોની સંખ્યા 300ને પાર થઈ ગઈ છે. જ્યારે દેશમાં કુલ 12,000 લોકોને ઈન્ફેક્શન થયું હોવાનો ખુલાસો થયો છે.