નવી દિલ્હી : ભારત સાથે સરહદ વિવાદ વચ્ચે નેપાળ સરકારે 30 મે, રવિવારે સંસદમાં બંધારણ સુધારણા બિલ રજૂ કર્યું હતું જેનો હેતુ દેશનો નકશો બદલવાનો છે. કાયદા, ન્યાય અને સંસદીય બાબતોના પ્રધાન શિવમૈયા તુમ્બાહાંગફે નેપાળ સરકાર વતી બિલ રજૂ કર્યું હતું. મુખ્ય વિપક્ષી પાર્ટી, નેપાળી કોંગ્રેસ દ્વારા બિલને ટેકો આપ્યાના એક દિવસ બાદ આ પગલું લેવામાં આવ્યું છે. બંધારણમાં આ બીજો ફેરફાર થશે. નેપાળે તાજેતરમાં દેશના સુધારેલા રાજકીય અને વહીવટી નકશાને બહાર પાડ્યો જેમાં તેણે લીપુલેખ, કાલાપાની અને લિમ્પીયાધુરાના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ વિસ્તારોનો દાવો કર્યો. ભારતે આ પહેલ અંગે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, તે આ વિસ્તાર પરના “અતિશયોક્તિપૂર્ણ” દાવાઓને સ્વીકારશે નહીં અને પડોશી દેશને આવા “અન્યાયી નકશા દાવા” ટાળવાનું કહ્યું.
આ ખરડામાં નેપાળના રાજકીય નકશામાં સુધારો કરવા તેને બંધારણની ત્રીજી સૂચિમાં શામેલ કરવા કહેવામાં આવ્યું છે. સંસદ દ્વારા સુધારેલ બિલને મંજૂરી મળતા જ નવા નકશાનો ઉપયોગ તમામ સત્તાવાર દસ્તાવેજોમાં કરવામાં આવશે. સંસદ બિલને મંજૂરી આપતા પહેલા તેની ચર્ચા કરશે. રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની મંજૂરી મેળવ્યા બાદ બિલને અંતિમ મંજૂરી આપશે. મુખ્ય વિપક્ષ નેપાળી કોંગ્રેસની કેન્દ્રીય સમિતિએ શનિવારે બિલને ટેકો આપવાનો નિર્ણય કર્યો. પ્રધાન મંત્રી પી. શર્મા ઓલીની વિનંતી પર, સૂચિત બિલને છેલ્લી ઘડીએ સંસદના કાર્યસૂચિમાંથી દૂર કરવામાં આવ્યું.
બંધારણીય સુધારા બિલ પર ચર્ચાને ટાળી દેવામાં આવી હતી કારણ કે નેપાળી કોંગ્રેસે તેની ઉચ્ચ સત્તાવાળી સંસ્થામાં આ મુદ્દે ચર્ચા કરવા માટે વધુ સમય માંગ્યો હતો. તેવી જ રીતે સમાજવાદી જનતા પાર્ટી નેપાળ અને રાષ્ટ્રીય જનતા પાર્ટી નેપાળે પણ તેમની જૂની માંગોને બંધારણ સુધારણામાં સમાવવા માંગ કરી હતી. બંધારણ સુધારણા બિલને બહાલી આપવા માટે બે તૃતીયાંશ બહુમતીની જરૂર છે. વડાપ્રધાન ઓલીએ મંગળવારે સર્વપક્ષીય બેઠકમાં તમામ રાજકીય પક્ષોના ટોચના નેતાઓને સંસદમાં સર્વાનુમતે મંજૂરી આપવા અપીલ કરી હતી.