નવી દિલ્હી : લદ્દાખની જે ગલવાન ખીણની સુરક્ષામાં ચીની સેના સાથે હિંસક સંઘર્ષ દરમિયાન 20 ભારતીય સૈનિકો શહિદ થઇ ગયા. તેને લઈને ચીન હવે દાવો કરી રહ્યું છે કે, આ ચીનનો ભાગ છે. એટલું જ નહીં ચીનનું કહેવું છે કે, ઘણા વર્ષોથી ત્યાં ચીની સુરક્ષા ગાર્ડ પેટ્રોલિંગ કરી રહ્યા છે અને તેમની ફરજો બજાવી રહ્યા છે.
ચીનના વિદેશ મંત્રાલયે શુક્રવારે તેની વેબસાઇટ પર એક પ્રેસ નોટ જારી કરીને એવો દાવો કર્યો છે કે ગલવાન ખીણ વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) ની ચીની બાજુ છે.
પ્રેસ નોટમાં બંને દેશો વચ્ચે વહેલી તકે બીજી કમાન્ડર કક્ષાની બેઠક યોજવાની પણ ચર્ચા છે. 15 જૂનના રોજ, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને પૂર્વી લદ્દાખમાં થયેલા હિંસક અથડામણ માટે ભારતને દોષી ઠેરવતા કહ્યું, “ગલવાન ખીણ વાસ્તવિક નિયંત્રણ રેખાની ચીની બાજુમાં આવે છે.” ચીનના સિક્યુરિટી ગાર્ડ ઘણા વર્ષોથી ત્યાં પેટ્રોલીંગ કરી રહ્યા છે અને તેમની ફરજો બજાવે છે.
ચીને કહ્યું કે, 15 જૂનની સાંજે ભારતીય સૈનિકોએ કમાન્ડર કક્ષાની વાટાઘાટમાં કરાર કર્યો હતો અને ચીનની સરહદમાં પ્રવેશ કર્યો હતો. બંને દેશો વચ્ચેની પરિસ્થિતિ જાણી જોઈને વધુ કથળી હતી. જ્યારે ચીની સેના અને અધિકારીઓ તેમની સાથે વાત કરવા પહોંચ્યા ત્યારે ભારતીય સૈનિકોએ હિંસક હુમલો કર્યો. જે બાદ બંને સૈન્ય વચ્ચે શારીરિક તકરાર થઈ હતી અને તેમાં જાનનું નુકસાન થયું હતું.