નાઈજિરિયામાં એક કંપનીમાં ડેપ્યુટી જનરલ મેનેજર રહી ચુકેલા પિતાના મોત બાદ તેમની દીકરીએ વડાપ્રધાન મોદીને મદદની અપીલ કરી છે. સત્યેન્દ્ર શર્મા ભોપાલના રહેવાસી હતા. તેમની દીકરી દીપીકા શર્માએ ટ્વીટર પર એક ચિઠ્ઠી લખી, જેમાં તેમને નાઈઝિરિયન કંપની, હોસ્પિટલ અને પ્રશાસન પર સહયોગ ન કરવા અને માહિતી ન આપવાનો આરોપ લગાવ્યો છે. દીપીકાએ લખ્યું મારા પિતા લાગોસની કંપની દાંગોટે ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમીટેડમાં ડેપ્યુટી જનરલ મેનેજર હતા તેમને પહેલાથી કોઈ બિમારી ન હતી ન તો કોઈ સંક્રમણ હતું. તેમને યાબાના મેનલેન્ડ હોસ્પિટલમાં ભરતી કરાવાયા હતા. આ હોસ્પિટલ સંક્રમક રોગની સારવાર માટે ઓળખાય છે. મેલેરિયાના લક્ષણ જોવા મળ્યા બાદ 16 એપ્રિલે પિતા હોસ્પિટલમાં એડમિટ થયા અને હોસ્પિટલના ટેસ્ટમાં પણ મેલેરિયાની પુષ્ટી થઈ હતી. એક્સ-રે રિપોર્ટમાં તેમને છાતીમાં સંક્રમણ હોવાનું સામે આવ્યું. ડોક્ટર્સે કહ્યું તેમની સ્થિતિ સારી છે અને સારવાર બાદ 3-4 દિવસમાં તેમને ડિસચાર્જ કરી દેવાશે. તેમણે જણાવ્યું કે, લાગોસથી કોઈ પણ મારા પિતા વિશે કંઈ પણ જણાવવા માટે તૈયાર નથી. હું વડાપ્રધાન મોદી, વિદેશ મંત્રાલય અને નાઈજિરિયાના દૂતાવાસને અપીલ કરું છું કે અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી ચિકિત્સા બેદરકારીને જુઓ. હું મારા પિતાની એક માત્ર સંતાન છું. મારી તેમના મોતનું કારણ જાણવા અને રિપોર્ટ અપાવવામાં મદદ કરો.
Wednesday, May 15