નવી દિલ્હી : કોરોના રેપિડ ટેસ્ટ કીટ અંગે ઉભા થયેલા પ્રશ્નો અંગે ચીન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. ભારતમાં ચીની દૂતાવાસના પ્રવક્તાએ બુધવારે કહ્યું હતું કે, નિકાસ કરવામાં આવેલા તબીબી ઉત્પાદનોની ગુણવત્તાને ચીન ખૂબ મહત્વ આપે છે. અમે સંબંધિત ભારતીય એજન્સી સાથે સંપર્કમાં છીએ અને જરૂરી મદદ કરીશું.
ખરેખર, કેન્દ્ર સરકારે દેશભરમાં બે દિવસ માટે રેપિડ કીટ પરીક્ષણ પર પ્રતિબંધ મૂક્યો છે. ગંભીર પ્રશ્નો ઉભા કર્યા બાદ રાજસ્થાન સરકારની રેપિડ ટેસ્ટના પરિણામો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે કેન્દ્રીય ટીમો આ પરીક્ષણના પરિણામોની ગંભીરતાપૂર્વક તપાસ કરશે, તો જ આગળનું પગલું જાહેર કરવામાં આવશે.
શું છે આખો મામલો
કેન્દ્ર સરકારે રેપિડ ટેસ્ટ પર બે દિવસનો વિરામ લેવો પડ્યો હતો કારણ કે રાજસ્થાન સરકારે તેના પરિણામો પર પ્રશ્નો ઉભા કર્યા હતા. જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ 168 કોરોના દર્દીઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ આ ટેસ્ટમાં માત્ર 5 ટકા દર્દીઓ પોઝિટિવ હતા. આ પછી, ગેહલોત સરકારે રાજ્યમાં રેપિડ ટેસ્ટ કરવાનું બંધ કર્યું હતું.