નવી દિલ્હી : કોરોના સંકટને કારણે વિશ્વની અર્થવ્યવસ્થા પ્રભાવિત થઈ રહી છે. આની અસર ભારતના પાડોશી દેશ શ્રીલંકા પર પણ પડી છે. શ્રીલંકાની સરકાર આ પરિસ્થિતિનો સામનો કરવા તમામ પ્રયત્નો કરી રહી છે. આ અંતર્ગત હવે વિદેશી વિનિમય ભંડારને મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ જ કારણ છે કે, શ્રીલંકાની સરકાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સાથે 40 કરોડ ડોલર ચલણની આપ-લે માટે કરાર કરવા જઈ રહી છે.
શ્રીલંકાને કેમ જરૂર પડી ?
આ માહિતી આપતાં શ્રીલંકાના માહિતી અને સંદેશાવ્યવહાર મંત્રી બંડુલા ગુણાવર્ધને કહ્યું કે, કેન્દ્રીય કેબિનેટે વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષે દ્વારા રજૂ કરેલા રિઝર્વ બેંક સાથે નાણાકીય સુવિધા કરારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આનાથી દેશને ટૂંકા ગાળાની આંતરરાષ્ટ્રીય રોકડ આવશ્યકતાઓ પૂરી કરવામાં મદદ મળશે.
ગુણવર્ધનએ જણાવ્યું હતું કે, શ્રીલંકા રિઝર્વ બેંક સાથે 40 કરોડ ડોલરના ચલણ અદલાબદલ કરાર કરશે. તેમણે કહ્યું કે, આ પગલાનો ઉદ્દેશ દેશના વિદેશી વિનિમય ભંડારને મજબૂત બનાવવાનો છે, ઉલ્લેખનીય છે કે, વેપાર સંબંધિત ચુકવણી કરતી વખતે, બે દેશોએ ચલણ અદલાબદલ કરાર કરવાનો નિર્ણય કર્યો છે.