નવી દિલ્હી : પાકિસ્તાનમાં છુપાયેલા ભારતના વોન્ટેડ આતંકવાદી અને અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના કોરોના વાયરસથી મોતની અટકળો ચાલી રહી છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. 5 જૂને શુક્રવારે ગુપ્તચર એજન્સીઓને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે, દાઉદ અને તેની પત્નીને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, દાઉદ અને તેની પત્નીને કરાચીની સૈન્ય હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. દાઉદનો અંગત સ્ટાફ અને રક્ષકોને ક્વોરેન્ટીન કરવામાં આવ્યા છે.
અનીસ ઇબ્રાહિમે કહ્યું – દાઉદ સ્વસ્થ છે
દાઉદ ઇબ્રાહિમના કોરોના ચેપ લાગવાના અહેવાલોને તેના ભાઈ અનીસ ઇબ્રાહિમ દ્વારા નકારી કાઢવામાં આવ્યા હતા. અનીસે દાવો કર્યો હતો કે તેનો ભાઈ અને આખો પરિવાર સ્વસ્થ છે અને કોઈને પણ હોસ્પિટલમાં દાખલ કરાયા નથી. તમને જણાવી દઈએ કે અનીસ દાઉદની ડી-કંપની ચલાવે છે.
અનીસ દાઉદનો ધંધો સંભાળે છે
દાઉદના ભાઈ અનીસે ફોન પર જણાવ્યું હતું કે, અન્ડરવર્લ્ડ ડોનના પરિવારના તમામ સભ્યો સ્વસ્થ છે. કોરોના ચેપથી તેના પરિવારમાં કોઈનું મોત થયું નથી. અનીસ યુએઈનો લક્ઝરી બિઝનેસ અને પાકિસ્તાનમાં એક વિશાળ બાંધકામ પ્રોજેક્ટ, તેમજ પરિવહન વ્યવસાય ચલાવે છે.
દાઉદ મુંબઈ વિસ્ફોટોનો માસ્ટર માઇન્ડ છે
દાઉદ ઇબ્રાહિમ મુંબઈમાં 1993 માં થયેલા બોમ્બ બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ છે. 1993 માં, 13 બોમ્બ વિસ્ફોટોથી મુંબઇ હચમચી ઉઠ્યું, જેમાં 350 લોકો માર્યા ગયા. જ્યારે 1200 થી વધુ લોકો ઘાયલ થયા હતા. 2003 માં, ભારત સરકારે યુ.એસ. સાથે મળીને દાઉદને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો.
પાકિસ્તાની સેનાએ આશરો આપ્યો
ભારતીય ગુપ્તચર એજન્સીઓથી ડરીને તેણે પાકિસ્તાનમાં આશરો લીધો છે. જ્યાં કરાચીમાં તેની સુરક્ષા માટે પાકિસ્તાન આર્મી અને આઈએસઆઈ તૈનાત છે. ભારતે અનેક વખત પુરાવા રજૂ કર્યા હોવા છતાં પાકિસ્તાને હંમેશાં આ હકીકતને નકારી છે કે ડોન પાકિસ્તાનમાં જ છુપાયેલો છે.