નવી દિલ્હી : ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ 16 જુલાઈ, ગુરુવારે જણાવ્યું હતું કે, કોરોના સંકટ વચ્ચે વંદે ભારત મિશન દ્વારા અત્યાર સુધીમાં 2 લાખ 80 હજાર ભારતીયોને વિદેશથી પરત ભારત લાવવામાં આવ્યા છે. પુરીએ કહ્યું કે, મોટી સંખ્યામાં ભારતીયોને દુબઇ અને યુએઈથી ઘરે લાવવામાં આવ્યા હતા. તેમજ આ મિશન અંતર્ગત 30 હજાર ભારતીયોને અમેરિકાથી પાછા લાવવામાં આવ્યા હતા.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું હતું કે, એર ફ્રાન્સ એરલાઇન્સ 18 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન દિલ્હી, મુંબઇ, બેંગ્લોર અને પેરિસ વચ્ચે 28 ફ્લાઇટ્સનું સંચાલન કરશે. તે જ સમયે, અમેરિકા (યુએસ)ની એરલાઇન્સની 18 ફ્લાઇટ્સ 17 થી 31 જુલાઈ સુધી ભારત આવશે. પુરીએ કહ્યું કે, અમે જર્મન એરલાઇન્સને ભારતની ફ્લાઇટ્સ ચલાવવા વિનંતી કરી છે અને આગળનું કામ ચાલી રહ્યું છે.