જર્મનીઃ જર્મનીમાં ચાન્સેલર એન્જેલ મર્કેલે ઇસ્ટરના તહેવાર ટાણે જ પહેલી એપ્રિલથી પાંચ દિવસનું લોકડાઉન લાદવાની જાહેરાત કરી છે. વર્તમાન નિયંત્રણોને એપ્રિલની મધ્ય સુધી લંબાવવામાં આવ્યા છે. મર્કેલે ચેતવણી આપી હતી કે જર્મની વધારે ઘાતક કોરોના વાઇરસના મોજાનો સામનો કરી રહ્યો છે. ખાનગી મિટિંગ પાંચ જણના બે જૂથો પૂરતી મર્યાદિત કરવામાં આવી છે. સુપરમાર્કેટને શનિવારે જ ખુલ્લા રાખવામાં આવશે. ચર્ચને પણ સર્વિસ ઓનલાઇન યોજવા માટે જણાવી દેવાયું છે.લોકોને ઘરમાં જ રહેવા અને પ્રવાસ ન કરવા જણાવાયું છે.
સેરમ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયાએ બ્રાઝિલ, સાઉદી અરેબિયા અને મોરક્કોને જણાવ્યું છે કે તેમને મળનારા એસ્ટ્રાઝેનેકા રસીના પુરવઠામાં વિલંબ થશે. ગાર્ડિયન અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર દેશમાં રસીની માગ વધી રહી છે અને ઉત્પાદન ક્ષમતા વધારવા માટે હાલ કામ ચાલુ હોવાથી આ વિલંબ થશે. દેશમાં રસી આપવા કરતાં ભારત વિદેશમાં રસીનું વધારે દાન કરે કે વેચે છે તેને માટે તેની ટીકા થઇ રહી છે. હાલ ભારત કોરોનાના કેસોની સંખ્યાની દૃષ્ટિએ યુએસ અને બ્રાઝિલ બાદ ત્રીજા ક્રમે છે.
યુકેમાં મંગળવારે લોકડાઉનને એક વર્ષ પુરૂ થયું તે નિમિત્તે વડા પ્રધાન બોરીસ જ્હોન્સને 23 માર્ચે ટીવી પર દેશને સંબોધીને ધ નેશનલ ડે ઓફ રિફ્લેકશન જાહેર કરી એક મિનિટનું મૌન પાળવાનું એલાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બાર મહિના આપણે બધાએ આપત્તિ ભોગવવી પડી છે. જેમણે તેમના પરિવારજનો ગુમાવ્યા છે તેમને હું દિલસોજી પાઠવું છું. દેશના ઇતિહાસમાં સૌથી મુશ્કેલ વર્ષમાં મહાન જુસ્સો દાખવવા બદલ તેમણે દેશવાસીઓને બિરદાવ્યા હતા. વડા પ્રધાન બોરીસ જ્હોન્સન પણ આ વર્ષે કોરોનાનો ભોગ બન્યા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા.
દરમ્યાન પાકિસ્તાનમાં વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમની બેગમને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે ત્યારે વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશીએ ચીનના વિદેશ પ્રધાન સાથે ટેલિફોન પર વાત કરી કોરોના રસી મેળવવા માટે ટહેલ નાંખી હતી. કુરેશીએ અગાઉ કોરોના રસીના પંદર લાખ ડોઝનું દાન આપવા બદલ ચીનનો આભાર માન્યો હતો. બુધવારે ચીને સાઇનોફાર્મની કોરોના રસીના બીજા પાંચ લાખ ડોઝ દાનમાં આપ્યા હતા.