સિડની: ભારતમાં કોરોનાની સર્જાએ કપરી પરિસ્થિતને જોતા વિશ્વના કેટલાક દેશોએ ભારતથી આવતી ફ્લાઈટો ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યારે ઑસ્ટ્રેલિયાએ કડક પગલાં ભર્યાં છે. જે અંતર્ગત ભારતમાં રહેતા હોય તેવા ઑસ્ટ્રેલિયન નાગરિકો હાલ સ્વદેશ પરત નહીં ફરી શકે. ઑસ્ટ્રેલિયાએ છેલ્લા 14 દિવસ દરમિયાન ભારતમાં રહેલા પોતાના નાગરિકો પર પ્રતિબંધ લગાવ્યો છે. એટલું જ નહીં, જો કોઈ વ્યક્તિ દેશમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરશે તો તેને દંડ ફટકારવામાં આવી શકે છે, સાથે સાથે જેલ પણ થઈ શકે છે. શુક્રવારે તાબડતોબ લેવામાં આવેલા આ નિર્ણયની જાણકારી અધિકારીઓએ આપી હતી.
સ્વાસ્થ્ય મંત્રી ગ્રેગ હન્ટે જાણકારી આપી છે કે, આ પ્રતિબંધ ત્રીજી મેથી શરૂ થશે. તેમણે જણાવ્યું કે, પ્રતિબંધનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિએ દંડ ભરવો પડશે, એટલું જ નહીં પાંચ વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે. તેમણે કહ્યુ કે, અમે “ભારત અને અમારા ભારતીય-ઑસ્ટ્રેલિયન સમાજ સાથે છીએ. ઑસ્ટ્રેલિયામાં એ લોકોના પરિવારો પર ખૂબ મોટું જોખમ છે. દુઃખદ વાત છે કે અનેક લોકો કોવિડ-19નો શિકાર બની રહ્યા છે. દરરોજ જીવ ગુમાવી રહ્યા છે.”
આ દરમિયાન તેમણે જાહેરાત કરી કે સરકાર આ પ્રતિબંધ પર 15મી મેના રોજ પુર્નમુલ્યાંકન કરશે. ગત મંગળવારે ઑસ્ટ્રેલિયાએ ભારતથી સીધી આવતી ફ્લાઇટ્સ પર અનિશ્ચિત મુદત માટે પ્રતિબંધ મૂકી દીધો હતો. સરકારે કોવિડ-19ના વધારે સંક્રમિત કરતા વેરિએન્ટ્સને જોતા આ નિર્ણય લીધો હતો. આ દરમિયાન ક્રિકેટર એડમ ઝમ્પા અને કેન રિચર્ડસન સહિત અન્ય નાગરિકો ઑસ્ટ્રેલિયા પરત ફર્યાં હતાં.
માર્ચ 2020માં દેશનો નાગરિક ન હોય તેવા લોકો અને સ્થાનિક નિવાસીઓ માટે સીમા બંધ કરવાથી ઑસ્ટ્રેલિયાને કોવિડ ઉપર કાબૂ મેળવવામાં ખૂબ મદદ મળી છે. આ ઉપરાંત પણ ઑસ્ટ્રેલિયાએ દેશમાં મુસાફરો માટે આકરા નિયમો બનાવ્યા છે. હવે મુસાફરોએ પોતાના ખર્ચે બે અઠવાડિયા સુધી હોટલમાં ક્વૉરન્ટીન રહેવું પડશે.
કહેવામાં આવી રહ્યું છે કે આ નિયમને પગલે ઑસ્ટ્રેલિયાને કોવિડના કેસ ઓછા કરવામાં ખૂબ મદદ મળી છે. વર્લ્ડોમીટરના આંકડા પ્રમાણે ઑસ્ટ્રેલિયામાં અત્યારસુધી કોરોના વાયરસના 29 હજાર 809 નવા કેસ સામે આવી ચૂક્યા છે. જ્યારે 900થી વધારે લોકોનાં મોત થયા છે. દેશમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 297 છે.