લદાખ : લદાખ બોર્ડર નજીક ચાલી રહેલા તણાવ વચ્ચે ચીન દ્વારા સતત નિવેદનો આપવામાં આવી રહ્યા છે. 2 સપ્ટેમ્બર, બુધવારે ચીનના વિદેશ મંત્રાલય દ્વારા આ મુદ્દે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં ચીને આરોપ લગાવ્યો હતો કે ભારત સરહદ પરના કરારને તોડીને એલએસીને પાર કરીને તેની તરફ આવ્યો છે. તમને જણાવી દઇએ કે ચીનનાં આ દાવાને ભારત પહેલેથી જ નકારી ચૂક્યું છે. આ સિવાય ચીને આ તકરાર પર તિબેટ અને અમેરિકાનું એંગલ પણ રજૂ કર્યું છે.
બુધવારે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ શૂનયિંગે કહ્યું કે, શનિવારે જે પણ આમનો – સામનો થયો તેમાં ભારતીય સેનાનો કોઈ પણ જવાન મૃત્યુ પામ્યો નથી. અહીં દાવો કરવામાં આવ્યો હતો કે, અમેરિકન મીડિયાએ કહ્યું હતું કે ભારતીય સૈનિકની હત્યા કરવામાં આવી છે.
ચીને અમેરિકા અને તિબેટ વચ્ચેના જોડાણને આગળ મૂક્યું
જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં આ સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું ભારતીય સેનાના સૈનિકો સાથે તિબેટી લોકો પણ મદદ માટે આવ્યા હતા. ચીનના પ્રવક્તાએ ગુસ્સે ભરાયા અને કહ્યું કે તમે ભારતના લોકોને જ પૂછો. અમને ફક્ત એટલું જ ખબર છે કે તિબેટીયન લોકો અને સીઆઇએ વચ્ચે ઘણાં સંબંધ રહ્યા છે. અમે ભારત સહિત કોઈપણ દેશનો વિરોધ કરીએ છીએ જે તિબેટીઓને આશ્રય આપે છે.
ચીન વતી કહેવામાં આવ્યું હતું કે, તિબેટના મુદ્દા પર ધ્યાન આપવું જોઈએ, યુએસ તરફથી પણ આમાં ઘણી ભૂમિકા છે. હવે ભારત અને તિબેટના સૈનિકો વચ્ચે શું સંબંધ છે, તે વિશે અમને જાણવાની ઉત્સુકતા છે. આ પહેલા પણ ભારત પર ચીન દ્વારા અનેક વખત આરોપ મૂકવામાં આવ્યો છે કે તે અમેરિકાની આડમાં આવીને તેના પાડોશી સાથેના સંબંધોને બગાડે છે.