મોતનું તાંડવ: સોમાલિયામાં રવિવારે બે બૉમ્બધડાકા કરવામાં આવ્યા હતા. જેમાં ૧૮૯નાં મોત થયાં હતાં અને ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘટનાસ્થળે હોટેલનો કાટમાળ અને ઘાયલોને ખસેડતા સ્થાનિકો જોઈ શકાય છે.
મોગાડિસુ: સોમાલિયાની રાજધાનીમાં થયેલા સૌથી મોટા બે બૉમ્બ વિસ્ફોટમાં મરણાંક વધીને ૧૮૯ પર પહોંચ્યો હતો અને ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા હોવાની માહિતી પોલીસ અને હૉસ્પિટલનાં સૂત્રોએ નામ ન જણાવવાની શરતે આપી હતી.
મહત્ત્વનાં મંત્રાલયો પાસે ભરચક સડક પર કરવામાં આવેલા બૉમ્બ વિસ્ફોટ બાદ મરણાંક હજુ વધવાની શક્યતા વચ્ચે સખત રીતે ઘવાયેલ લોકોને મદદ કરવાની ડૉકટરો કોશિશ કરી રહ્યા છે. અમુક લોકો તો ઓળખાય નહીં, એ હદે દાઝી ગયા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર રસ્તા પર
હજુય ઍમ્બ્યુલન્સની સાઇરન સતત વાગ્યે રાખે છે. રઘવાયા થયેલાં કુટુંબીઓ મકાનોના કાટમાળ અને હૉસ્પિટલોમાં પોતાના સ્વજનને શોધી
રહ્યા છે.
રાષ્ટ્રપતિ મોહંમદ અબ્દુલ્લાહી મોહંમદે ત્રણ દિવસનો રાષ્ટ્રીય શૉક જાહેર કરતા રક્તદાન માટે જોડાયેલા નાગરિકો સાથે તેઓ પોતે પણ જોડાયા હતા. એમણે લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે હું લોકોને રક્તદાન કરવાની અપીલ કરું છું. મોટી સંખ્યામાં ઘાયલો અને મૃતકોને જોઇને હૉસ્પિટલનો સ્ટાફ પણ હતપ્રભ થઇ ગયો છે.
સરકારે વિસ્ફોટ બદલ અલ કાયદાને સંલગ્ન અલ સબાબના કટ્ટરવાદી ત્રાસવાદીઓને જવાબદાર ગણાવ્યા છે. એમણે આ હુમલાને રાષ્ટ્રીય આપદા જાહેર કરી છે.
ઘાયલોની સારવાર માટે હૉસ્પિટલો તરફથી લોહીની માગ થઇ રહી છે અને અનેક લોકો રક્તદાન કરવા આગળ આવ્યા છે.
સોમાલિયાના વિદેશ મંત્રાલય પાસે આવેલ હૉટેલ સફારીને મોટે પાયે નુકસાન થયું હતું અને બચાવ ટુકડીના કાર્યકર્તાઓ રાતે ટોર્ચ લાઇટના અજવાળામાં કાટમાળમાંથી કોઇ બચ્યું હોય તો એમને બહાર કાઢવા સતત પ્રયત્ન કરી રહ્યા હતા.
વિસ્ફોટને કારણે હૉટેલની બહાર ઊભા કરાયેલ ધાતુના દરવાજા અને બ્લાસ્ટ વોલના ફૂરચેફૂરચા થઇ ગયા હતા.
સંયુક્ત રાષ્ટ્રસંઘે હુમલાને કાયરતાપૂર્ણ ગણાવતા સખત શબ્દોમાં હુમલો કરનારા ત્રાસવાદીઓની નિંદા કરી હતી.