ઈમરાન ખાનના નિવેદન બાદ જાવેદ લતીફે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે નવાઝ શરીફે પાકિસ્તાન આવવું જોઈએ કારણ કે તેમના વિના પાકિસ્તાની રાજનીતિમાં સમાન તક શક્ય નથી. તેમણે કહ્યું કે નવાઝ શરીફની વાપસી અંગે ડોક્ટરોનો અલગ મત હોઈ શકે છે. પરંતુ પાકિસ્તાનની જનતાની ઈચ્છા છે કે તેઓ દેશમાં પાછા ફરે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને એક નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું કે સરકાર સપ્ટેમ્બર સુધીમાં નવાઝ શરીફને પાકિસ્તાન લાવવાની તૈયારી કરી રહી છે. તે પછી જ જાવેદ લતીફે કહ્યું છે કે નવાઝ શરીફે પાકિસ્તાન આવવું જોઈએ કારણ કે તેમના વિના પાકિસ્તાનમાં રાજકારણની સમાન તકો શક્ય નથી.
જાવેદ લતીફે પનામા પેપર્સ કેસમાં શરીફને આરોપી બનાવવા માટે પાકિસ્તાનના પૂર્વ ચીફ જસ્ટિસ સાકિબ નિસારને જવાબદાર ઠેરવ્યા છે. મંત્રી જાવેદ લતીફે કહ્યું કે નવાઝ શરીફ સાથે અન્યાય થયો છે.
જ્યારે ઈમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન હતા. તે સમયે નવાઝ શરીફ વિરૂદ્ધ ભ્રષ્ટાચારના અનેક મામલામાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. નવેમ્બર 2019માં લાહોર હાઈકોર્ટે તેને સારવાર માટે વિદેશ જવાની મંજૂરી આપી હતી.
નવાઝ શરીફના નજીકના સહયોગી રાણા સનાઉલ્લાહે કહ્યું કે નવાઝ શરીફ ત્રણ વખત દેશના વડાપ્રધાન રહી ચૂક્યા છે. તેના માટે સંસદમાં વિશેષ સુધારો કરી શકાય છે. તેમણે કહ્યું કે નવાઝ શરીફ ટૂંક સમયમાં પાકિસ્તાન પરત ફરશે અને આગામી ચૂંટણીમાં ઈમરાન ખાન વિરુદ્ધ પાર્ટી માટે પ્રચાર કરશે.