નવી દિલ્હી : પાકિસ્તાને ત્રીજી વખત કુલભૂષણ જાધવને કોન્સ્યુલર એક્સેસ રજૂ કરી છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ પાકિસ્તાની અધિકારીઓની હાજરી વિના કુલભૂષણ જાધવને કોન્સ્યુલર એક્સેસની રજુઆત કરી છે. આ અગાઉ 16 જુલાઈ, ગુરુવારે ભારતીય હાઇ કમિશનના અધિકારીઓને કુલભૂષણ જાધવને મળવાની મંજૂરી મળી હતી. જોકે, તે સમયે પાકિસ્તાનના અધિકારીઓ હાજર હતા.
કુલભૂષણ જાધવને મળ્યા બાદ ભારતે પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલના નિર્ણયનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે ભારતીય ઉચ્ચ આયોગના બે અધિકારીઓને કુલભૂષણ જાધવને મળવાની મંજૂરી આપવામાં આવી હતી. અધિકારીઓએ તેની સામે વિરોધ પણ નોંધાવ્યો, કારણ કે આ કોન્સ્યુલર એક્સેસ ન તો અર્થપૂર્ણ હતો કે ન વિશ્વાસપાત્ર.
ભારતે કહ્યું કે, પાકિસ્તાનના અધિકારીઓ નજીકમાં હાજર હતા અને ખુલ્લા સંવાદ માટેની કોઈ વ્યવસ્થા નહોતી. નોંધનીય છે કે, વિએના કન્વેનશન ઓન કોન્સુલર રિલેશન્સ 1963 અંતર્ગત પાકિસ્તાન દ્વારા પ્રથમ કોન્સ્યુલર એક્સેસ 2 સપ્ટેમ્બર 2017ના રોજ આપવામાં આવ્યો હતો.
તે પછી 25 ડિસેમ્બર 2017 ના રોજ કમાન્ડર જાધવની માતા અને પત્નીને પણ તેમની સાથે મળવાની મંજૂરી આપવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં નવેસરની અરજી દાખલ કરતા પહેલા ભારતે પાકિસ્તાન પાસે આની માંગ કરી હતી. જોકે, પાકિસ્તાને એકલા કુલભૂષણ જાધવને મળવાની માંગને નકારી હતી, પરંતુ 2 અધિકારીઓને જાધવ સુધી પહોંચવાની મંજૂરી આપવામાં આવી હતી.