કોરોનાવાઈરસ પર રોક લગાવા માટે ન તો કોઈ રસી શોધાઈ છે ન તો કોઈ ચોક્કસ દવા તેવામાં તેનાથી બચીને રહેવું એ જ માત્ર ઉપાય છે. જો હવામાં જ આ વાઈરસને નાશ કરવામાં આવે તો કોરોનાના જોખમથી બચી શકાય છે. અમેરિકાની કોલમ્બિયા યુનિવર્સિટીએ વાઈરસને હવામાં નાશ કરવા એક ખાસ પ્રકારના UV (અલ્ટ્રા વાયલેટ) કિરણોની શોધ કરી છે. વૈજ્ઞાનિકોનો દાવો છે તેનાથી હવામાં રહેલા 99% કોરોનાવાઈરસનો નાશ કરી શકાય છે. સેન્ટર ઓફ રેડિયોલોજિકલ રિસર્ચના ડિરેક્ટર ડો. ડેવિડ બ્રેનરના જણાવ્યા અનુસાર, Far-UVC કિરણો હવામાં વાઈરસ અને બેક્ટેરિયાનો નાશ કરે છે અને તેને મનુષ્યનાં શરીરની અંદર પ્રવેશતા અટકાવે છે. ડો. ડેવિડ બ્રેનરના જણાવ્યા અનુસાર, હાલ કોરોનાવાઈરસને અટકાવવાનો કોઈ યોગ્ય ઉપચાર નથી. જો એક રૂમમાં કોઈ છીંક ખાય છે તો હવામાં તે વાઈરસ ફેલાય છે. તેથી હવામાં વાઈરસનો નાશ કરવા માટે Far-UVC કિરણો ઉપયોગી છે. ચીન અને દક્ષિણ કોરિયામાં પણ અલ્ટ્રાવાયલેટ કિરણોનો ઉપયોગ થઈ રહ્યો છે.