હાલ ચૈત્ર મહિનાની નવરાત્રિ ચાલી રહી છે. આ પર્વ 2 એપ્રિલ સુધી ચાલશે. દેવી ભગવતીએ વિવિધ દૈત્યોનો વધ કરવા માટે અનેક અવતાર લીધા છે. દેવીએ મહિષાસુરનો વધ કરવા માટે દુર્ગા માતાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. દુર્ગા સપ્તશતીમાં દેવીના અવતાર વિશે ઉલ્લેખવામાં આવ્યું છે.
સંક્ષિપ્ત કથાઃ-
પ્રાચીન સમયમાં મહિષાસુર નામના અસુરે દેવતાઓને સ્વર્ગથી ભગાડીને ત્યાં પોતાનો અધિકાર કરી લીધો હતો ત્યાર બાદ બધા જ દેવતાઓ શિવજી અને વિષ્ણુજી પાસે પહોંચ્યાં હતાં. મહિષાસુરના આતંકથી શિવજી અને વિષ્ણુજી ગુસ્સે થઇ ગયાં ત્યારે જ બધા દેવતાઓના મુખમાંથી તેજ પ્રકટ થયું જે નારી સ્વરૂપમાં બદલાઇ ગયું. શિવના તેજથી દેવીનું મુખ, યમરાજના તેજથી કેશ, વિષ્ણુના તેજથી હાથ, ચંદ્રના તેજથી વક્ષસ્થળ, સૂર્યના તેજથી પગની આંગણીઓ, કુબેરના તેજથી નાક, પ્રજાપતિના તેજથી દાંત, અગ્નિના તેજથી ત્રણ નેત્ર, સંધ્યાના તેજથી ભૃકુટિ અને વાયુના તેજથી કાનની ઉત્પત્તિ થઇ હતી.
દેવતાઓએ અલગ-અલગ શક્તિઓ આપી:-
- બધા જ દેવતાઓએ દેવીને પોત-પોતાની શક્તિઓ આપી હતી. શિવજીએ ત્રિશૂળ ભેટમાં આપ્યું. અગ્નિદેવે પોતાની શક્તિ દેવીને પ્રદાન કરી. ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર પ્રદાન કર્યું.
- વરૂણદેવે શંખ, પવનદેવે ધનુષ અને બાણ, દેવરાજ ઇન્દ્રે વજ્ર અને ઘંટ, યમરાજે કાલદંડ ભેટ કર્યું.
- પ્રજાપતિ દક્ષે સ્ફટિકની માળા, બ્રહ્માદીએ કમંડળ, સૂર્યદેવે પોતાનું તેજ પ્રદાન કર્યું, સમુદ્રદેવે આભૂષણ ભેટ કર્યાં.
- સરોવરે ક્યારેય કરમાય નહીં તેવી માળા, કુબેરદેવે મધથી ભરેલું પાત્ર, પર્વતરાજ હિમાલયે સવારી કરવા માટે સિંહ ભેટ આપ્યો હતો.
- દેવતાઓ પાસેથી મળેલી આ શક્તિઓથી દુર્ગાજીએ મહિષાસુરનો વધ કર્યો હતો. મહિષાસુરનો વધ કરવાના કારણે જ દેવીને મહિષાસુરમર્દિની કહેવામાં આવ્યાં.