Ahmedabad Plane Crash: વિમાનના પાછળના ભાગમાંથી મળ્યા ચોંકાવનારા સંકેત
Ahmedabad Plane Crash: 12 જૂન 2025ના રોજ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ માત્ર 26 સેકન્ડમાં ક્રેશ થયેલી એર ઈન્ડિયા ફ્લાઇટ AI-171ની ઘટનાએ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો હતો. 240થી વધુ લોકોના મોત સાથે દેશના ઇતિહાસની સૌથી ભયાનક વિમાન દુર્ઘટનાઓમાંથી એક બની હતી. પરંતુ હવે ઘટનાની તપાસ કરી રહેલી એએઆઈબી (AAIB) ના પ્રાથમિક રિપોર્ટમાં એક નવો અને આશ્ચર્યજનક ખુલાસો થયો છે.
ઇલેક્ટ્રિકલ ખામી તરફ વળ્યું ધ્યાન
વિમાનના પાછળના ભાગ (એમ્પેનેજ) ના કાટમાળમાંથી ઈલેક્ટ્રિકલ આગના નિશાન મળ્યાં છે. AAIBના 12 જુલાઈના રિપોર્ટ અનુસાર, ફ્લાઇટના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ માત્ર ત્રણ સેકન્ડમાં રન પોઝિશનથી કટઓફ પોઝિશન પર પહોંચી ગયા હતા, જેના કારણે બંને એન્જિન અચાનક બંધ થઈ ગયા હતા. કોકપીટ રેકોર્ડિંગ મુજબ પાઇલટમાંથી એકએ પૂછ્યું, “તમે ફ્યુઅલ કેમ બંધ કર્યુ?” જ્યારે બીજાનો જવાબ હતો, “મેં નથી કર્યું.” આ સંવાદે સમગ્ર દુર્ઘટનાને વધુ જટિલ બનાવી દીધી છે.
ECU સુધી ખોટો ડેટા પહોંચ્યો?
વિશ્લેષણકારો માને છે કે ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં થયેલી ખામીએ એન્જિન કંટ્રોલ યુનિટ (ECU) સુધી ખોટો ડેટા પહોંચાડ્યો, જેના કારણે વિમાનના એન્જિનોને ઇંધણ ન મળ્યું. પાંછલા ભાગમાં સ્થિત સહાયક પાવર યુનિટ (APU) તો અકબંધ મળી આવ્યું, પરંતુ બેક બ્લેકબોક્સને ભારે નુકસાન થયેલું હોવાથી તેની વિગતો મેળવવી મુશ્કેલ બની છે.
પૂર્વ સપાટીના સ્ટેબિલાઇઝર ટ્રાન્સડ્યુસર ઉપર પણ સંશય
AAIBની તપાસમાં ખુલ્યું કે દિલ્હીથી અમદાવાદ આવતી એક અગાઉની ફ્લાઇટમાં “STAB POS XDCR” નામના સેન્સર અંગે પાઇલટે ફરિયાદ કરી હતી. તે વિમાનના પિચ અને ફ્લાઈટ કંટ્રોલને અસર કરે છે.
વિમાન BJ મેડિકલના મેસ બિલ્ડિંગ પર પડ્યું
ક્રેશ સમયે વિમાન BJ મેડિકલ કોલેજના હોસ્ટેલ મેસ બિલ્ડિંગ પર પડ્યું હતું. પાછળનો ભાગ જુદો પડી ગયો હોવાને કારણે આ જ કાટમાળમાંથી કેટલાક મહત્વપૂર્ણ ટેકનિકલ ક્લૂઝ મળ્યા છે. રેમ એર ટર્બાઇન (RAT) પણ એક્ટિવેટ થયાનું જણાયું છે, પણ તે સમયમર્યાદા માટે પુરતું નહોતું.
અત્યાર સુધીના સિદ્ધાંતોમાં ઇલેક્ટ્રિકલ ખામી મજબૂત
વિમાનમાં કોઇપણ પ્રકારના વિસ્ફોટક પદાર્થના નિશાન મળ્યાં નથી. એકમાત્ર બચી ગયેલા મુસાફર વિશ્વકુમાર રમેશે જણાવ્યું હતું કે, કેબિનમાં લીલી અને સફેદ લાઇટ જળતી હતી અને ત્યારબાદ એક મોટો ધડાકો થયો હતો. આથી હાલના તમામ અનુમાનોએ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ફેલ્યરને મુખ્ય કારણ તરીકે નિર્ધારિત કર્યું છે.
એર ઇન્ડિયાની કામગીરી અને આગળની કાર્યવાહી
આ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ તેના તમામ બોઇંગ 787 વિમાનોની સુરક્ષા તપાસ હાથ ધરી હતી અને પછીથી 26 વિમાનોને ફરીથી ઉડાન માટે મંજૂરી આપવામાં આવી. ગુજરાત પોલીસે આ ઘટના પાછળ કોઇ આતંકવાદી સાજિશ નથી હોવાનું સ્પષ્ટ કર્યું છે.
આ સમગ્ર ઘટનાની સમગ્ર તપાસ હજુ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.