કોરોના વાયરસના કારણે સૌથી વધુ હાલાકી ખેડુતોને પડી રહી છે. હાલમા રાજય સરકાર દ્વારા ફકત આંતર જિલ્લાના મજુરોની લાવવાની વ્યવસ્થા કરવામા આવી છે. પરંતુ આંતર રાજયના મજુરો માટે કોઇ વ્યવસ્થા કરવામા આવી નથી. સામાન્ય રીતે ડાંગરના પાકની કાપણી માટે મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશથી મજુરો આવતા હોય છે. જો કે હાલ લોક ડાઉનના કારણે આ તમામ મજુરો દક્ષિણ ગુજરાત આવી શકયા નથી. જેને કારણે ખેડુતોને વિઘા દીઠ રુ 25 હજારનુ નુકશાન સહન કરવાનો વારો આવી શકે છે. હાલમા દક્ષિણ ગુજરાતમા 30 હજાર વિઘામા ડાંગરનો પાક તૈયાર થઇ ગયો છે. જો કે મજુરોની વાટના કારણે હજી સુધી ખેડુતોએ પોતાના ડાંગર પાકની કાપણી શરુ કરી નથી. બીજી તરફ જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામા આવી છે તેને જોતા જો પહેલા જ સપ્તાહમા વરસાદ પડશે તો ખેડુતોને મોટું નુકશાન સહન કરવાનો વારો આવશે. આ સાથે ખેડુતોએ મુખ્યમંત્રીને આ અંગે રજુઆત પણ કરી છે કે અન્ય રાજયમા વસતા મજુરોને દક્ષિણ ગુજરાત આવવા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવે..નહિ તો ખેડુત બરબાદ થઇ જશે.