કોરોના સંકટમાં ઘણા લોકોની ઉદારતાના દર્શન થયા છે. કેટલાક બાળકોએ પોતાના ગલ્લા તોડીને રૂપિયાનું દાન કર્યું છે તો ઘણાં લોકો પગપાળા પોતાના વતન જઈ રહેલા પ્રવાસી મજૂરોને મદદ કરી રહ્યા છે. પોલીસકર્મીઓ પણ આ કપરા સમયમાં નિઃસહાય લોકોથી માંડીને મૂંગા જાનવરોની મદદ કરી રહ્યા છે. આ દરમિયાન એક 72 વર્ષનાં મહિલાની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. આ મહિલાએ દરિયાદિલી દેખાડીને સૌનું દિલ જીતી લીધું છે! આ મહિલાનું નામ છે સુખમતી માણિકપુરી, તેઓ રાયપુરના બિલાસપુરના રહેવાસી છે. આ મુશ્કેલ સમયમાં તેમણે જરૂરિયાતોની મદદ માટે 1 ક્વિન્ટલ ચોખા, ડઝનથી વધુ સાડીઓ અને થોડા રૂપિયા દાન કર્યા છે.
આ મહિલાએ કહ્યું, “હું લોકડાઉન દરમિયાન જરૂરિયાતમંદોની પીડા અનુભવી શકું છું. હું પોતે ભીખ માગીને ગુજરાન ચલાવું છું. એટલે મારાથી થઈ શક્યું તેટલું દાન મેં બિલાસપુર નગર નિગમને કર્યું. આ મુશ્કેલ સમયમાં આપણે એકબીજાની મદદ કરવી જોઈએ.” સુખમતીબેને આગળ કહ્યું, “હું ભૂખની પીડા સમજું છું. એટલે જ જરૂરિયાતમંદો અને નિઃસહાય લોકોની થઈ પડે તેટલી મદદ કરી શકું માટે વધુ ભીખ માગવા લાગી. કોઈએ ભૂખ્યા ના ઊંઘવું જોઈએ.” બિલાસપુરના જિલ્લા કલેક્ટર ડૉ. સંજય અલંગે કહ્યું, “કોવિડ-19ના કારણે ઘણા લોકો મુશ્કેલ સ્થિતિમાં જીવી રહ્યા છે. એવામાં સુખમતી માણિકપુરીએ દાન કરીને સાબિત કરી દીધું કે માણસાઈને રૂપિયાથી ભરેલા ખિસ્સા મૂલવી શકતાં નથી.
તેમનું આ પગલું લોકોને માનવતાના રસ્તે લાવી શકે છે.” જણાવી દઈએ કે, એપ્રિલ મહિનામાં આ દાદીએ સ્થાનિક કાઉન્સિલર વિજય કેશવાનીને ચોખા અને કપડાં સોંપ્યા હતા. આ વસ્તુઓ તેમને ભીખમાં મળી હતી. સુખમતી રાયપુરથી 125 કિલોમીટરના અંતરે આવેલા બિલાસપુર જિલ્લામાં રહે છે. તેમના માથે બે દોહિત્રીઓની જવાબદારી છે. મોટી દોહિત્રી રાજ લક્ષ્મી (16 વર્ષ) 11મા ધોરણમાં ભણે છે જ્યારે નાની દોહિત્રી ઋષ્ટિ (10 વર્ષ) ધોરણ 6માં અભ્યાસ કરે છે. આ બંને દીકરીઓ સ્થાનિક સરકારી સ્કૂલમાં અભ્યાસ કરે છે. રિપોર્ટ મુજબ. સુખમતી છેલ્લા એક દશકાથી ભીખ માગીને ગુજરાન ચલાવે છે.