“વિરાસતથી વિકાસ”ના વિઝન સાથે અમરેલીના ક્લોક ટાવરની કાયાપલટ માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ શરૂ
અમરેલી જિલ્લાના પ્રભારી અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા દ્વારા અમરેલીમાં અંદાજે રૂ. ૬૦ કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સૌથી મહત્વનો પ્રોજેક્ટ ગાયકવાડી શાસન સમયના ઐતિહાસિક ક્લોક ટાવરના રિસ્ટોરેશનનો છે. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આ વિરાસતને સાચવવા માટે રૂ. ૩ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. મંત્રીશ્રીઓએ જણાવ્યું કે આ ટાવર અમરેલીનો ‘આત્મા’ છે અને તેને સાચવવો એ આપણી સહિયારી જવાબદારી છે.
‘વિરાસતથી વિકાસ’ના વિઝન સાથે અમરેલીની ઐતિહાસિક ધરોહર ધબકતી થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને આગળ ધપાવતા આ ઐતિહાસિક ટાવરની ઘડિયાળ ફરીથી ટક-ટક અવાજ સાથે ગુંજતી થશે. મંત્રી જીતુભાઈ વાઘાણીએ સૂચન કર્યું હતું કે ટાવરના નવીનીકરણ સાથે ત્યાં એક યાદગાર ‘સેલ્ફી પોઈન્ટ’ પણ બનાવવો જોઈએ જેથી પ્રવાસીઓ અને નગરજનો માટે તે આકર્ષણનું કેન્દ્ર બને. આ પ્રસંગે મંત્રીશ્રીઓએ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા અને મહાન સંત શ્રી મૂળદાસજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવસભર વંદન કર્યા હતા.
‘ગોલ્ડન ડ્રીમ’ અમરેલી: નવા પ્રવેશદ્વારો અને આધુનિક સુવિધાઓનું નિર્માણ
રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ અમરેલીના વિકાસ અંગેની પોતાની નેમ વ્યક્ત કરતા જણાવ્યું કે શહેરના તમામ પડતર પ્રશ્નો ઉકેલવા માટે સરકાર કટિબદ્ધ છે. આગામી સમયમાં શહેરની ચારેબાજુ ભવ્ય પ્રવેશદ્વારો બનાવવામાં આવશે. આ ઉપરાંત અમરેલી માટે નવી GIDC, બાયપાસ રોડ અને પીવાના શુદ્ધ પાણીની નિયમિત વ્યવસ્થા જેવી પાયાની સુવિધાઓ પર તેજ ગતિએ કામ ચાલી રહ્યું છે. તેમનો ઉદ્દેશ્ય અમરેલીને એક આધુનિક અને વિકસિત શહેર બનાવવાનો છે.
વેપારી મંડળો અને નગરજનોની ઉપસ્થિતિમાં વિકાસ ઉત્સવની ઉજવણી
આ ઐતિહાસિક પ્રોજેક્ટના ખાતમુહૂર્ત પ્રસંગે અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ, ટાવર ચોક વેપારી મંડળ અને અન્ય વેપારી એસોસિએશનોના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સહિત વહીવટી તંત્રના અધિકારીઓ અને નગરજનોએ આ ઉત્સવમાં જોડાઈને શહેરના વિકાસને આવકાર્યો હતો. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી અમરેલીના મુખ્ય ચોકની શાન વધશે અને સ્થાનિક વેપાર-રોજગારને પણ નવું બળ મળશે.
