પોલીસી રેટમાં પ્રવર્તમાન સ્થિતીમાં કોઇ ફેરફાર કરવામાં આવશે કે કેમ તે અંગે આવતીકાલે ચિત્ર સ્પષ્ટ થશે. ગ્રોથમાં ઘટાડાની સ્થિતિ અને નીચા ફુગાવાની સ્થિતિ વચ્ચે બેઠક શરૃ થયા બાદ જુદા જુદા પાસા પર ચર્ચા કરવામાં આવી રહી છે. મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ માની રહ્યા છે કે હાલમાં આરબીઆઇ પોલીસી રેટમાં કોઇ ફેરફાર કરશે નહી. જાણકાર નિષ્ણાતોનું કહેવું છે કે, ફુગાવા ઉપર જીએસટીના અમલીકરણની અસરને લઇને નજર રાખવામાં આવનાર છે. જો કે, ઇન્ડસ્ટ્રી અને સરકાર દ્વારા માનવામાં આવે છે કે જીડીપી ગ્રોથમાં પ્રોત્સાહન આપવા રેટમાં ઘટાડો કરવામાં આવી શકે છે. ૨૦૧૬-૧૭માં જીડીપી ગ્રોથ ૮ ટકાથી ઘટીને ૭.૧ ટકા થઇ ગયો છે.
આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં છ સભ્યોની મોનિટરી પોલિસી કમિટિની બેઠક આજે શરૃ થઇ હતી. આવતીકાલે પણ બેઠક જારી રહેનાર છે. આવતીકાલે વ્યાજદરના સંબંધમાં નિર્ણય કરવામાં આવનાર છે. ૨૦૧૭-૧૮ માટેની બીજી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા માટેના નિવેદનમાં કેટલાક પગલા લેવામાં આવી શકે છે. બીજી બાજુ કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત રિટેલ ફુગાવો એપ્રિલમાં ૨.૯૯ ટકા થઇ ગયો છે. ખાદ્યાન્ન ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો થયો છે. સીપીઆઈ ફુગાવો એપ્રિલ ૨૦૧૬માં ૫.૪૭ ટકા હતો. બીજી બાજુ હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવો એપ્રિલ મહિનામાં ૩.૮૫ ટકાની ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો છે. ખાદ્યાન્ન ચીજવસ્તુઓ અને મેન્યુફેક્ચર્ડ વસ્તુઓની કિંમતમાં ઉતારચઢાવની સ્થિતિ રહી છે. પહેલી જુલાઈથી જીએસટી વ્યવસ્થા અમલી કરવામાં આવનાર છે. છઠ્ઠી એપ્રિલના દિવસે રિઝર્વ બેંકે તેની છેલ્લી પોલિસીમાં રેટ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખ્યો હતો. જાણકાર નિષ્ણાતો પણ માની રહ્યા છે કે, રેટમાં વધારે ફેરફાર કરવામાં આવનાર નથી. આગામી બેઠક ઉપર બેંકિંગ નિષ્ણાતોની નજર કેન્દ્રીત થઇ ગઇ છે. હાલમાં જ કરવામાં આવેલા સર્વેમાં મોટાભાગના અર્થશાસ્ત્રીઓએ એવો મત આપ્યો છે કે, વ્યાજદરમાં હાલ કોઇ ફેરફાર કરવામાં આવશે નહીં. પરંતુ ભવિષ્યમાં વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવે તેવી શક્યતા રહેલી છે. આરબીઆઈની પોલિસી સમીક્ષાની બેઠક ઉપર શેરબજાર, ઉદ્યોગ જગત અને અન્યોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. કારણ કે, લોન સસ્તી થશે કે કેમ તે મુદ્દે આવતીકાલે ફેંસલો કરાશે.