વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ વચ્ચે કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં મુલાકાત થઈ હોવાના અહેવાલો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન(SCO) શિખર સંમેલનની બરાબર પહેલા લીડર્સ લાઉન્જમાં બંને નેતાઓએ એક બીજાનું અભિવાદન કર્યું.
અત્રે જણાવવાનું કે આ માહિતી સૂત્રોના હવાલે સામે આવી છે. બંને નેતાઓના મળવાની હજુ સુધી કોઈ અધિકૃત જાણકારી મળી નથી. સૂત્રો જણાવી રહ્યાં છે કે પાકિસ્તાની પીએમની ઓપન હાર્ટ સર્જરી બાદ બંને નેતાઓની આ પહેલી મુલાકાત હતી માટે પીએમ મોદીએ નવાઝને તેમની તબિયતના ખબર પૂછ્યાં હતાં. આ સાથે જ તેમના માતા અને પરિવારના ખબરઅંતર પણ પૂછ્યા હતાં.
નવાઝ અને મોદી વચ્ચે મુલાકાતને લઈને અનેક પ્રકારની અટકળો થઈ રહી હતી. કહેવાતુ હતું કે બંને વચ્ચે અલગથી કોઈ અધિકૃત વાતચીત થશે નહીં. વિદેશ મંત્રાલયે બુધવારે જણાવ્યું પણ હતું કે હજુ સુધી બંને વડાપ્રધાનોની મુલાકાતનુ કોઈ શેડ્યુલ નક્કી નથી. મોદી અને શરીફ ૨૦૧૫માં જયારે બ્રિકસ અને એસસીઓની બેઠક વખતે રશિયાના ઉફામાં મળ્યાં હતાં ત્યારે એવું લાગતું હતું કે બંને દેશો વચ્ચે સંબંધો સુધરશે. વ્યાપક દ્વિપક્ષીય વાતચીત પર સહમતી પણ બની. પરંતુ ૨૦૧૬ની શરૂઆતમાં પઠાણકોટ એટેકથી માહોલ ખરાબ થયો અને સંબંધો બગડતા ગયાં. ૨૦૧૬માં જુલાઈમાં એકવાર ફરી બંને નેતાઓ આમને સામને આવ્યાં હતાં. પરંતુ કોઈ વાર્તા થઈ નહતી. આજે જે હાલાત છે તે તેનાથી પણ વધુ ખરાબ ગણાઈ રહ્યાં છે.
અસ્તાનામાં મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગ વચ્ચે મુલાકાત શકય છે. વિદેશ મંત્રાલયના અધિકારીઓએ તેની પુષ્ટિ કરી છે. હાલમાં જ ચીને સરહદ વિવાદ પર મોદીએ જે નિવેદન આપ્યું હતું તેનું સ્વાગત કર્યું હતું. મોદીએ કહ્યું હતું કે ચીન સાથે સીમા વિવાદ હોવા છતાં બંને દેશો તરફથી ૪૦ વર્ષોમાં એક પણ ગોળી વરસી નથી. થોડા દિવસ પહેલા જ બંને દેશો વચ્ચે ત્યારે જોરદાર તણાવ સર્જાયો. જયારે ભારતે ચીનની તરફથી આયોજિત બેલ્ટ એન્ડ રોડ ફોરમનો બાયકોટ કર્યો અને તિબ્બતી ધર્મગુરુ દલાઈ લામા અરૂણાચલ પ્રદેશ પહોંચ્યાં. NSGમાં ભારતની એન્ટ્રી અને આતંકવાદી મસૂદ અઝહર મામલે ચીનના અક્કડ વલણના કારણે બંને દેશો પહેલેથી જ તણાવ છે.