

મહેસાણામાં પટેલ યુવાનની કસ્ટોડીયલ ડેથના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને જવાબદાર પોલીસ કર્મીઓ તેમજ અધિકારીઓ સામે સખત કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. ઉપરાંત રાષ્ટ્રપિતા ગાંધીજી વિશે અપમાનજનક ટીપ્પણી કરનાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ માફી માંગે તેવી માંગ પણ કરવામાં આવી હતી. સમગ્ર રાજયની સાથોસાથ ચરોતરમાં પણ આ બન્ને મુદ્દે કોંગ્રેસે આક્રમક દેખાવો સાથે ધરણાં કાર્યક્રમ યોજયો હતો. આણંદમાં અમૂલ ડેરી ખાતે આજે જિલ્લા કોંગ્રેસ દ્વારા મહેસાણાના યુવાન પર થયેલા પોલીસ દમન અને ત્યારબાદ કસ્ટડીમાં થયેલ મૃત્યુ મામલે કોંગી નેતાઓએ ભાજપ સરકાર પણ આકરાં પ્રહારો કર્યા હતા. વધુમાં કોંગી નેતાઓએ ગુજરાત મોડલની બીજી તરફની વાત રજૂ કરીને આગામી ૧૬મીએ રસ્તા રોકો આંદોલનમાં રાજય સરકારને ઘેરવાના પ્રયાસમાં સૌને જોડાવવા અનુરોધ કર્યો હતો. બપોરે સાડા બાર વાગ્યે શરૂ થયેલ ધરણાં કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, રાજયના પ્રવાસે આવેલા રાજય કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશના પૂર્વ અધ્યક્ષ સિદ્વાર્થ પટેલ, ઉપપ્રમુખ સાગર રાયકા સહિત નેતાઓ, ધારાસભ્યો, હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિરોધ પ્રદર્શનના આરંભે કોંગી નેતાઓએ સરદાર પટેલની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી હતી.

આ પ્રસંગે સિદ્વાર્થ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર ખેડૂત વિરોધી કાર્યો કરી રહી છે. મહેસાણામાં પાટીદાર યુવાન કેતન પટેલને પોલીસે જંગલિયાત રીતે માર માર્યો હતો. કેતનભાઇના કસ્ટોડીયન ડેથની ઘટના બાદ પણ પોલીસ દ્વારા એફઆઇઆર નોંધાઇ નથી અને લાશનું પોસ્ટમોર્ટમ ખોટું કરાયું હોવાથી બીજી વખત પોસ્ટમોર્ટમ કરવું પડયું. રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવાતી નથી. વધુમાં સિદ્વાર્થ પટેલે જણાવ્યું હતું કે, ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહને ગુજરાતમાંથી નિકાલ કરાયા હતા અને તેમની ઉપર અસંખ્ય ગૂના નોંધાયા છે. આવા વ્યકિત દ્વારા રાષ્ટ્રપિતાનું કરાતું અપમાન કદાપિ સાંખી ન લેવાય, પ્રજા જવાબ આપશે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ભાજપના પાપનો ઘડો ભરાઇ ગયો છે તેમ જણાવતા કહ્યું હતું કે, આ પાર્ટીએ પાટીદાર, લઘુમતિ, દલિતોના આંદોલનોમાં પણ આવું જ કર્યુ હતું. આ સરકાર ખેડૂત વિરોધી છે. વર્ષ ર૦૧૪માં વોટ માગ્યા ત્યારે ખેડૂતોને તમારા ખર્ચના ૧ લાખ સામે દોઢ લાખ ચૂકવવાનું કહ્યું હતું પણ આજે બટાકા, ડુંગળી, ટામેટાના ભાવો ખેડૂતોને મળતા નથી અને બીજી તરફ ઉંચી કિંમતે વેચાય છે. દિલ્હીમાં તામિલનાડુના ખેડૂતોએ રપ દિવસ સુધી આંદોલનો કર્યા છતાંયે સરકારે કાંઇ ન કર્યુ. મહેસાણાના પાટીદાર યુવાનના સ્વજનોને પણ રાજય સરકાર સાંત્વના આપવા કે મળવા ગઇ નથી. વધુમાં ભરતસિંહે ઉમેર્યુ હતું કે, રાષ્ટ્રપિતા ગાંધીજીના ચશ્મા અને ફોટા સાથે સરકાર સ્વચ્છતા મિશન ચલાવે છે અને ભાજપના અમિત શાહ ગાંધીજી પાકા વાણિયા હતા તેમ કહીને ગાંધીજીને અપમાનિત કરે છે. વણિકો આ બાબત સહન નહીં કરે અને એનો જવાબ આપશે.
