૧,૯૭૪ પરીક્ષાર્થીઓએ ઉત્સાહથી આપી સાક્ષરતા કસોટી, જિલ્લા કલેક્ટર દ્વારા કેન્દ્રની મુલાકાત
ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે અમલી ‘નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ’ (Ullhas) અંતર્ગત અમરેલી જિલ્લામાં પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન કસોટી (FLNAT) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે નિરક્ષર વ્યક્તિઓ છે તેમને અક્ષર જ્ઞાન અને પાયાનું શિક્ષણ આપી સમાજની મુખ્યધારામાં લાવવા માટે આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ૧૫ માર્ચ ૨૦૨૬ના રોજ યોજાયેલી આ પરીક્ષામાં જિલ્લાના ૩૨૨ જેટલા કેન્દ્રો પર ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું.
કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે પરીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી
પરીક્ષાની ગંભીરતા અને સાક્ષરતા અભિયાનની સફળતા ચકાસવા માટે જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે અમરેલી શહેરની જેસીંગપરા કન્યાશાળામાં કાર્યરત પરીક્ષા કેન્દ્રની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે પરીક્ષા આપી રહેલા વડીલો અને ભાઈ-બહેનોનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે ભણવાની કોઈ ઉંમર હોતી નથી. કલેક્ટરશ્રીએ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું અને સાક્ષરતાના લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
૧,૯૭૪ પરીક્ષાર્થીઓની સક્રિય ભાગીદારી અને જનજાગૃતિ
અમરેલી જિલ્લામાં આ શૈક્ષણિક યજ્ઞમાં કુલ ૧,૯૭૪ પરીક્ષાર્થીઓએ ભાગ લીધો હતો. આ પરીક્ષાના સફળ સંચાલન માટે જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ ઝીણવટભર્યું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં શાળાના આચાર્યો અને શિક્ષકોએ ઘરે-ઘરે જઈને નિરક્ષર વડીલોને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. પરિણામે, મોટી સંખ્યામાં લોકો કલમ પકડતા શીખ્યા અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા કેન્દ્રો પર પહોંચ્યા હતા.
જિલ્લાને સંપૂર્ણ સાક્ષર બનાવવા વહીવટી તંત્રનો સંકલ્પ
તાલુકા કક્ષાએ બી.આર.સી. અને સી.આર.સી. કો-ઓર્ડિનેટરશ્રીઓના સંકલન તેમજ નાયબ જિલ્લા નિરંતર શિક્ષણ અધિકારીની ટીમની મહેનતને કારણે આ કાર્યક્રમ સફળ રહ્યો છે. અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગની આ સંયુક્ત મહેનત જિલ્લાને સંપૂર્ણ સાક્ષરતા તરફ લઈ જવામાં એક સીમાચિહ્નરૂપ ડગલું સાબિત થઈ છે. જ્યારે સમાજનો દરેક નાગરિક સાક્ષર બનશે, ત્યારે જ સાચા અર્થમાં ડિજિટલ અને વિકસિત ભારતનું નિર્માણ થશે તેવી આશા પ્રશાસન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
