કોરોનાની હજુ સુધી કોઈ વેક્સિન કે દવા શોધાઈ નથી અને રોગ એટલો ચેપી છે કે પોસ્ટમોર્ટમ કરીને રોગની અસરો જાણવા પણ મંજૂરી નથી. જોકે રાજ્યમાં એકમાત્ર રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગને કોરોનાના મૃતદેહોની ઓટોપ્સી કરવા મંજૂરી અપાઈ છે અને અત્યારસુધીમાં 6 ઓટોપ્સી થઈ ચૂકી છે, આટલું જોખમ લેવા પાછળનું કારણ શરીરમાં કોરોનાથી થતી અસરોનો અભ્યાસ કરી સારવાર પદ્ધતિમાં સુધારો લાવવાનો છે. પરીક્ષણ મામલે ફોરેન્સિક મેડિસિન વિભાગના વડા ડો. હેતલ ક્યાડાએ જણાવ્યું છે કે હજુ રિસર્ચ શરૂ કરવા જેટલાં પરીક્ષણ પણ નથી થયાં, જોકે એક તારણ એવું નીકળ્યું છે કે કોરોના વાઇરસને કારણે ફેફસાંમાં ફાઈબ્રોસિસ ખૂબ વધી જાય છે આ કારણે જ્યારે બોડીમાંથી ફેફસાં કાઢ્યાં ત્યારે જાણે પથ્થર ઉપાડ્યો હોય તેવું લાગ્યું હતું. ફાઈબ્રોસિસ તો ટી. બી. અને ન્યુમોનિયામાં પણ થાય છે પણ એ ઉપર અને નીચેના જ ભાગમાં હોય પણ કોરોનામાં બધી જ જગ્યાએ ફાઈબ્રોસિસ થઈ ગયું હતું.
હજુ આ માત્ર ઓટોપ્સી દરમિયાન જોવા મળેલું છે, સાચું કારણ તો રિસર્ચ કર્યા બાદ જ ખ્યાલ આવશે. પ્રવાહી જામી જવાથી ફેફસાંની નળીઓમાં ગઠ્ઠા થાય અને ફેફસાં સ્થિતિસ્થાપકતા ગુમાવી કઠણ બને છે, જેને ફાઈબ્રોસિસ કહે છે. આ કારણે ફેફસાંનો રંગ બદલાય છે અને ક્યારેક એમાં કાણાં પણ પડી જાય છે. ફેફસાં ખૂબ જ સ્થિતિસ્થાપક અને તાજી બ્રેડ કરતાં પણ નરમ હોય છે. આ કારણે જ ફેફસાં ઓક્સિજન અને કાર્બનડાયોક્સાઈડની લેવડદેવડ કરી શકે છે. ફાઈબ્રોસિસ થવાનાં ઘણાં કારણો અને પ્રકારો હોય છે અને બધામાં સખત થવાનો હિસ્સો અને સખતાઈ એટલે કે ડેન્સિટી પણ અલગ અલગ હોય છે. ફેફસાંના પાંચ ખંડ હોય છે, જેમાં ડાબી બાજુ 2 અને જમણી બાજુ 3 હોય છે. સામાન્ય રીતે ફાઈબ્રોસિસ ડાબી બાજુ વધુ હોય છે. ટી. બી.ના દર્દીઓમાં ફેફસાંના ઉપરના ભાગમાં ફાઈબ્રોસિસ થાય છે, જ્યારે ન્યુમોનિયામાં ફેફસાંના નીચેના ભાગમાં ફાઈબ્રોસિસ હોય છે, પણ કોરોનાના દર્દીઓમાં પાંચેય ખંડમાં ફાઈબ્રોસિસ જોવા મળ્યું છે.