વેસુ બીઆરટીએસ બસ ડેપો નંદિની-03 એપાર્ટમેન્ટની સામે રહેતા અને મુળ અમરેલીના ચક્કરગઢના દેવળિયા ગામના વતની અશોકભાઈ કરસનભાઈ માઘડ(37) બીઆરટીએસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા. શનિવારે સાંજે તેઓ સોમેશ્વરાથી અમેઝિયા રૂટની બીઆરટીએસ બસ લઈ નીકળ્યા હતા. બસ લઈ તેઓ વીઆઈપી રોડ શ્યામ મંદિર પાસેથી અલથાણ ચાર રસ્તા તરફ જતા હતા. દરમિયાન અચાનક તેમની તબિયત લથડી ગઈ હતી અને છાંતીમાં દુ:ખાવો થતા તેમણે બસ સાઈડમાં ઉભી કરી સુપરવાઈઝરને જાણ કરી હતી અને પેસેન્જરને ઉતારી બસમાં સુઈ ગયા હતા. સુપરવાઈઝરે 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જોકે ત્યાં સુધીમાં અશોકભાઈનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા ખટોદરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અશોકભાઈના મોતનુ સાચુ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી આગળની તપાસ હાથ ધરી છે. BRTS સેલના ઈનચાર્જ અધિકારી કમેલશ નાયકે જણાવ્યું હતું કે સોમેશ્વરથી અમેઝિયા રૂટની બસના ડ્રાઈવરની અચાનક તબિયત ખરાબ થતા તેણે બસ કંટ્રોલ કરી સાઈડમાં લઈ લીધી હતી. ત્યાર બાદ ડ્રાઈવરનું મોત થયું હતુ. પોસ્ટમોર્ટમ કરનાર સીએમઓ ડો.ચીરોંજીલાલ ઘીયાએ જણાવ્યું હતું કે મૃતકે મોત પહેલા છાતીમાં દુ:ખાવાની ફરીયાદ કરી હતી. જેથી હાર્ટએટેકના કારણે મોત થયું હોવાની શક્યતા લાગે છે. હાલ મૃતકના વિસેરાના સેમ્પલ લીધા છે તેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.