નવી દિલ્હી : તમામ વિવાદો બાદ કેન્દ્ર સરકારે રાજ્યોને જીએસટી વળતરનો પહેલો હપ્તો આપ્યો છે. નાણાં મંત્રાલયે આપેલી માહિતી અનુસાર કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર, ગુજરાત, બિહાર, આસામ, દિલ્હી અને જમ્મુ-કાશ્મીર સહિત 16 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 6,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.
મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, ‘કેન્દ્ર સરકારે આજે 16 રાજ્યોને 6,000 કરોડ રૂપિયાની લોન આપી છે. આ 16 રાજ્યો છે … આંધ્ર પ્રદેશ, આસામ, બિહાર, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય, ઓડિશા, તામિલનાડુ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ. આ સિવાય આ રકમ બે કેન્દ્ર શાસિત પ્રદેશો દિલ્હી અને જમ્મુ કાશ્મીરમાં પણ ટ્રાન્સફર કરવામાં આવી છે. ”
કેન્દ્ર સરકારે 5.19% વ્યાજ પર લોન લીધી
હકીકતમાં, ગયા અઠવાડિયે કેન્દ્ર સરકારે જીએસટી વળતર અંગે વિરોધી પક્ષો દ્વારા શાસિત રાજ્યોની માંગને સ્વીકારી હતી. તેમની માંગ હતી કે કેન્દ્ર પોતે લોન લઈને રાજ્યોના જીએસટી વળતર આપે.
નાણાં મંત્રાલયના નિવેદન અનુસાર, આ લોન 5.19 ટકા વ્યાજે લેવામાં આવી છે અને તેનો સમયગાળો વ્યાપક રૂપે 3 થી 5 વર્ષનો હોય છે. મંત્રાલયે કહ્યું કે તે દર અઠવાડિયે રાજ્યોને 6000 કરોડ આપશે. નાણાં મંત્રાલયે કહ્યું કે આ વ્યવસ્થાની અસર કેન્દ્રના નાણાકીય ખાધને અસર કરશે નહીં અને તે રાજ્ય સરકારોના મૂડી લાભ તરીકે દર્શાવવામાં આવશે.