ઇન્ડિયન પ્રીમિયર લીગ, આઇપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે ગુરુવારે જણાવ્યું હતું કે, ટી-20 લીગની ગવર્નિંગ કાઉન્સિલે નક્કી કર્યું છે કે 21 જાન્યુઆરી સુધીમાં ખેલાડીઓના નામ સોંપવા માટે આઠ ફ્રેન્ચાઇઝીને મંજૂરી આપવામાં આવશે. પટેલ અને આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલના સભ્યોએ આ અઠવાડિયે એક ઓનલાઇન બેઠક યોજી હતી જેમાં આગામી આઇપીએલના આયોજન અને તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ બેટ્સમેન પટેલે જણાવ્યું હતું કે હરાજીની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. તેમણે કહ્યું હતું કે, “21 જાન્યુઆરી સુધીમાં ખેલાડીઓને જાળવી રાખવામાં આવશે અને ફ્રેન્ચાઇઝી માટે ટ્રેડિંગ વિન્ડો 4 ફેબ્રુઆરીએ બંધ કરી દેવામાં આવશે. ‘
ખેલાડીઓની હરાજી ફેબ્રુઆરીના બીજા કે ત્રીજા સપ્તાહમાં થવાની અપેક્ષા છે. આઇપીએલની આઠ ટીમો પાસે ખેલાડીઓને ખરીદવા માટે 85 કરોડ રૂપિયાની રકમ હશે અને પટેલે જણાવ્યું હતું કે, 2021ની હરાજી માટે બજેટની રકમમાં વધારો નહીં થાય. એવું જાણવા મળ્યું છે કે ગવર્નિંગ કાઉન્સિલે એક મહિના સુધી રાહ જોવાનો નિર્ણય લીધો છે અને આઈપીએલ-14 ભારતમાં યોજાશે કે નહીં તે નક્કી કરવામાં આવશે.
છેલ્લી હરાજી બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે માત્ર 15 લાખ રૂપિયા બચ્યા હતા અને કેદાર જાધવ અને પીયૂષ ચાવલા જેવા ઓછામાં ઓછા બે મોંઘા ખેલાડીઓને રિલીઝ કરીને તેમનું બજેટ વધારશે તેવી અપેક્ષા છે.
મુંબઈ ઇન્ડિયન્સે કદાચ પોતાના તમામ મોટા ખેલાડીઓને જાળવી રાખવાની જરૂર છે, કારણ કે કોમ્બિનેશન સારું છે. જોકે, ટીમ કેટલાક ખેલાડીઓને 95 લાખ રૂપિયાનું બજેટ વધારવા માટે રિલીઝ કરી શકે છે. રાજસ્થાન રોયલ્સ પાસે સૌથી વધુ 14 કરોડ 75 લાખ રૂપિયા હશે, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 10 કરોડ 10 લાખ રૂપિયાની રકમ સાથે હરાજીમાં હશે. દિલ્હી કેપિટલ્સ પાસે નવ કરોડ, કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે 8 કરોડ 50 લાખ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે 6 કરોડ 40 લાખ રૂપિયાની રકમ હશે.