શું CBSE ની બેદરકારી વિદ્યાર્થીઓના રિઝલ્ટ પર ભારે પડી? જાણો શું છે આખો વિવાદ.
હાલમાં દેશભરમાં શિક્ષણ વ્યવસ્થા અને ખાસ કરીને CBSE (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન)ની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉભા થયા છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ રિ-શેર કરીને ફરી એકવાર કેન્દ્ર સરકાર અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર આકરા પ્રહારો કર્યા છે. આ મામલો CBSE ની 12મી ધોરણની ઉત્તરવહીઓના સ્કેનિંગ અને મૂલ્યાંકનમાં થયેલી કથિત અનિયમિતતાઓ સાથે જોડાયેલો છે.
શું છે સમગ્ર વિવાદ?
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ‘સાર્થક સિદ્ધાંત’ નામના એક યુઝરે સોશિયલ મીડિયા પર ધોરણ 12ની કેટલીક ઉત્તરવહીઓના ફોટા શેર કર્યા. આ ફોટાઓ સાથે તેમણે CBSE ને ટેગ કરીને પૂછ્યું કે, “શું આ ઉત્તરવહીઓ સ્કેન કરવા માટે ખરેખર પ્રોફેશનલ સ્કેનર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?” યુઝરે દાવો કર્યો છે કે આ કૉપીઓ જોતા લાગે છે કે તે કોઈ અત્યાધુનિક મશીન દ્વારા નહીં, પરંતુ સામાન્ય મોબાઈલ ફોનથી ફોટા પાડીને સ્કેન કરવામાં આવી છે. આ ખુલાસા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
CBSE’s May 2025 tender required answer sheets to be scanned with automatic robotic scanners, spines preserved, at a minimum of 300 DPI.
The tender re-issued in August quietly removed all of it. “Scanners” became generic. Resolution dropped to 200 DPI.
Now we know what that… https://t.co/XXdorOi3oq
— Rahul Gandhi (@RahulGandhi) May 31, 2026
ટ્રેન્ડરમાં ફેરફાર અને રહસ્યમય શરતો
રાહુલ ગાંધીએ આ મામલે સરકારને ઘેરતા ગંભીર તથ્યો રજૂ કર્યા છે. તેમણે જણાવ્યું કે મે 2025માં CBSE દ્વારા જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, તેમાં સ્પષ્ટ અને કડક શરતો હતી. તે મુજબ:
-
ઉત્તરવહીઓને ‘ઓટોમેટિક રોબોટિક સ્કેનર’ દ્વારા જ સ્કેન કરવાની રહેશે.
-
સ્કેનિંગ દરમિયાન ઉત્તરવહીઓની બાઈન્ડિંગ સંપૂર્ણ સુરક્ષિત રાખવી અનિવાર્ય હતી.
-
સ્કેનિંગની ગુણવત્તા ઓછામાં ઓછી 300 DPI રેઝોલ્યુશનની હોવી જોઈએ, જેથી લખાણ સ્પષ્ટ દેખાય.
જોકે, આશ્ચર્યની વાત એ છે કે ઓગસ્ટ મહિનામાં જ્યારે આ ટેન્ડર ફરીથી બહાર પાડવામાં આવ્યું, ત્યારે તેમાં આ તમામ મહત્વની શરતોને ગુપચુપ રીતે દૂર કરી દેવામાં આવી હતી. રાહુલ ગાંધીના મતે, ‘રોબોટિક સ્કેનર’ શબ્દને બદલે ખૂબ જ સામાન્ય શબ્દો વાપરવામાં આવ્યા અને રેઝોલ્યુશનની મર્યાદા 300 DPI થી ઘટાડીને 200 DPI કરી દેવામાં આવી.
COEMPT અને સ્કેનિંગની વાસ્તવિકતા
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે હવે આ ફેરફારો પાછળનો હેતુ સ્પષ્ટ થઈ ગયો છે. તેમણે દાવો કર્યો છે કે ‘COEMPT’ નામની કંપનીએ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓને સ્કેન કરવા માટે કોઈ પ્રોફેશનલ ટેકનોલોજીનો નહીં, પરંતુ સામાન્ય મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો હતો. આ બાબત માત્ર એક ટેકનિકલ ખામી નથી, પરંતુ કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથેનો મોટો ‘ધોખો’ છે.
રાહુલ ગાંધીએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, “દરેક તે બાળક, જેના માર્ક્સનું ખોટું મૂલ્યાંકન થયું છે, તે આ કૌભાંડનો ભોગ બન્યું છે.”
વડાપ્રધાનની મૌન અને શિક્ષણ મંત્રીની જવાબદારી
આ સમગ્ર મામલે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ભૂમિકા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, વડાપ્રધાન પાસે આમ (ફળ) વિશે વાત કરવાનો સમય છે, પરંતુ જે 18.5 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે, તેમના વિશે વાત કરવા માટે તેમની પાસે સમય નથી.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, “ધર્મેન્દ્ર પ્રધાન હજુ પણ પોતાના પદ પર બની રહ્યા છે તે આશ્ચર્યજનક છે. મોદીજીનું મૌન હવે માત્ર ઉદાસીનતા નથી, પરંતુ તે આ ગુનામાં તેમની સીધી મિલીભગતનો પુરાવો છે.”
વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સંકટ
શિક્ષણ બોર્ડ જેવી સંસ્થાઓ પાસે દેશની આશા હોય છે. જ્યારે વિદ્યાર્થીઓ પોતાની મહેનતથી પરીક્ષા આપે છે, ત્યારે તેઓ અપેક્ષા રાખે છે કે તેમનું મૂલ્યાંકન પારદર્શી અને ચોક્કસ રીતે થશે. જો ઉત્તરવહીઓ મોબાઈલ ફોન દ્વારા સ્કેન કરવામાં આવી હોય, તો ચોક્કસપણે તેમાં ભૂલો થવાની શક્યતા વધી જાય છે. બ્લર ફોટા અથવા ખોટી રીતે સ્કેન થયેલા પેજને કારણે મેરિટમાં ફેરફાર આવી શકે છે, જે કોઈ પણ વિદ્યાર્થી માટે આઘાતજનક છે.