Umar General Surat and Arafat Group જાણો તપાસને લઈ શું કહ્યું કોટા DSP લોકેન્દ્ર પાલિવાલે…..
કોટા ડેવલપમેન્ટ ઓથોરિટી (KDA) એ કોટામાં મેસર્સ અરાફાત પેટ્રો કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ (JK ફેક્ટરી) ની 227 એકર જમીનનો કબજો લઈ ઉદ્યોગ ન ચલાવવા, કામદારોને ચૂકવણી ન કરવા અને જમીનના લીઝ ડીડની શરતોનું પાલન ન કરવા બદલ અઠવાડિયા પહેલાં મોટી કાર્યવાહી કરી હતી.
વિગતો મુજબ રાજસ્થાનની ભજનલાલ સરકારના નિર્દેશ પર કોટા વહીવટીતંત્રે જેકે ફેક્ટરીની તમામ 7 લીઝ રદ કર્યા. આ સાથે, ફેક્ટરી મેનેજમેન્ટને કબજામાંથી ખાલી કરીને કોટા ડેવલપમેન્ટ ઓથોરિટીને સોંપવામાં આવી.
આ પછી, બીજો એક કેસ પ્રકાશમાં આવ્યો છે જેમાં અરાફાત ગ્રુપના માલિક, મેનેજમેન્ટ અને અધિકારીઓ પર 387 કરોડ રૂપિયાની મશીનરી તોડી પાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પંચમ કોટાના DSP લોકેન્દ્ર પાલીવાલ કહે છે કે ફરિયાદી ઇન્દ્રમલ જૈનની ફરિયાદ પર મશીનરી તોડી પાડવાના આરોપમાં અરાફત ગ્રુપ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના સ્ટેશનના ડીએસપી લોકેન્દ્ર પાલિવાલ દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
“સત્ય ડે” સાથે ટેલિફોન પર વાત કરતા કોટાના ડીએસપી લોકેન્દ્ર પાલિવાલે જણાવ્યું કે અમને ઈન્દ્રમલ જૈનની ફરિયાદ મળી છે અને ભારતીય દંડ સંહિતા પ્રમાણે કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે સરકાર અને કોટા ડેવલપમેન્ટ ઓથોરિટી પાસે સમગ્ર ફેક્ટરી અંગેના રેકોર્ડ ઉપલબ્ધ કરાવવા માટે કહ્યું છે. સરકાર અને વહીવટી તંત્ર ફેક્ટરી અને મશીનરી અંગે રોકોર્ડ આપવામાં આવશે ત્યાર બાદ સમગ્ર કેસની ઝીણવટભરી તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.
આ કેસમાં, કંપનીના ડિરેક્ટર સુરત બિઝનેસમેન મહોમ્મદ ઉમર જનરલ, મહોમ્મદ યુસુફ મોહમ્મદ સફી લીલામવાલા અને મહોમ્મદ જુનૈદ જનરલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં અન્ય આરોપીઓ ફેક્ટરીના હિસ્સેદારો અને અધિકારીઓ છે. આ અંગે કોટાના ઇન્દિરા ગાંધી નગરના રહીશ અને ફરિયાદી ઇન્દ્રમલ જૈન દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી.

ઇન્દ્રમલ જૈન કહે છે કે લીઝ રદ થયા પછી, કેડીએએ જમીનનો કબજો લીધો હતો, પરંતુ પછી એવું બહાર આવ્યું કે અરાફાત પેટ્રોકેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસે સ્થળ પર જમીન અને મકાન છે, પરંતુ તેના ડિરેક્ટરો, અધિકારીઓ અને હિસ્સેદારોએ ગુપ્ત રીતે લગભગ 387 કરોડ રૂપિયાના પ્લાન્ટ અને મશીનરી વેચી દીધી છે. આ મામલે કાયદેસરની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
રાજસ્થાન સરકારે તાજેતરમાં અધિક જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી જેમાં લાડપુરા SDM, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર, RIICO ના ડેપ્યુટી જનરલ મેનેજર, સંયુક્ત શ્રમ કમિશનરનો સમાવેશ થતો હતો. ફેક્ટરી મેનેજમેન્ટ આ સમિતિને ઉદ્યોગના સંચાલન અંગે કોઈ દસ્તાવેજો પૂરા પાડી શક્યું ન હતું. સમિતિએ સ્વીકાર્યું કે મેનેજમેન્ટે મશીનરીનો નાશ કર્યો છે. લીઝ ડીડની શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. રિપોર્ટના આધારે, સરકારે જાહેર હિતમાં તેને પોતાના કબજામાં લેવાનું યોગ્ય માન્યું હતું.
