ચાલુ નાણાકીય વર્ષ 2020-21ના ત્રીજા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ગ્રોથ 1.3 ટકા સાથે સકારાત્મક રહી શકે છે. અગાઉ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે ક્વાર્ટરના ગાળામાં કોરોના વાયરસની મહામારીને કારણે જીડીપીવૃદ્ધિ નકારાત્મક રહી હતી. ત્યારબાદ કોરોના ચેપના કેસોમાં ઘટાડો અને માંગમાં વધારાને પરિણામે જીડીપીમાં સકારાત્મક વૃદ્ધિ થઈ શકે છે. આ માહિતી એક અહેવાલમાં આપવામાં આવી છે. સરકાર ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર માટે શુક્રવારે જીડીપીના આંકડા જાહેર કરશે.
ડીબીએસ બેંકે તેના અહેવાલમાં જણાવ્યું છે કે કેલેન્ડર વર્ષ ૨૦૨૦ ના છેલ્લા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર સકારાત્મક રહેવાની અપેક્ષા છે. બેંકે એમ પણ કહ્યું હતું કે પૂર્ણ વર્ષનો જીડીપી વૃદ્ધિ દર 6.8 ટકા રહી શકે છે. ડીબીએસ ગ્રૂપના રિસર્ચ અર્થશાસ્ત્રી રાધિકા રાવે જણાવ્યું હતું કે, “કોરોના વાયરસની મહામારીની સ્થિતિમાં ઝડપી સુધારો અને માંગમાં વધારો એ બે પરિબળો છે જેના પરિણામે ડિસેમ્બર, 2020ના ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ માટે વધુ સારા સંકેતો મળ્યા છે. ‘
ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ભારતના જીડીપી વૃદ્ધિમાં પ્રથમ ક્વાર્ટરમાં લગભગ 24 ટકા અને બીજા ક્વાર્ટરમાં 7.5 ટકાનું સંકોચન જોવા મળ્યું હતું.
ડીબીએસ સંશોધન અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે લોકડાઉનમાં છૂટછાટથી સ્થાનિક માંગમાં વધારો થયો હતો અને ત્યારબાદ તહેવારોની સિઝનમાં વધુ વધારો થયો હતો. વિવિધ ક્ષેત્રોની પ્રવૃત્તિઓ ફરી શરૂ થઈ અને વપરાશમાં સુધારો થયો.
આર્થિક સર્વેક્ષણ 2020-21નો અંદાજ છે કે એક એપ્રિલથી શરૂ થઈ રહ્યા છે ત્યારે આગામી નાણાકીય વર્ષમાં અર્થતંત્ર 11 ટકા નાં દરે વધશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આગામી નાણાકીય વર્ષ માટે અર્થતંત્રમાં 10.5 ટકાનો વૃદ્ધિ દર રહેવાનું અનુમાન કર્યું છે. જોકે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ)નો અંદાજ છે કે 2021માં ભારત 11.5 ટકા વૃદ્ધિ કરશે.