ભારતે અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર કૌભાંડના વચેટિયા ક્રિશ્ચિયન મિશેલને મુક્ત કરવાના UN પેનલના નિષ્કર્ષને ફગાવી દીધી છે. ભારતે કહ્યું કે પેનલનું નિષ્કર્ષ મર્યાદિત માહિતી અને એકપક્ષીય તથ્યો પર આધારિત છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “અમે સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે કાર્યકારી જૂથ ન્યાયિક એકમ નથી અને તેથી તેનો અભિપ્રાય સભ્ય દેશોને બંધનકર્તા નથી. અમને દુ:ખ છે કે કાર્યકારી જૂથના તારણો અજાણ્યા સ્રોતોના એકપક્ષીય આરોપો પર આધારિત છે. પ્રત્યાર્પણ સંપૂર્ણપણે બંને સાર્વભૌમ દેશો વચ્ચેની સંધિ હેઠળ છે. ધરપકડ અને અન્ય પ્રક્રિયાઓ પણ કાયદાને અનુરૂપ છે. તેમને કોઈ પણ આધારે મનસ્વી કહી શકાય નહીં. મીડિયા રિપોર્ટ મુજબ, UNના કાર્યકારી જૂથે એવું તારણ કાઢ્યું છે કે મિશેલને ભારતમાં મનસ્વી રીતે અટકાયતમાં લેવામાં આવ્યો છે. દુબઈથી પ્રત્યાર્પણ બાદ તે ડિસેમ્બર, 2018થી દિલ્હીની તિહાર જેલમાં છે.