અમદાવાદઃ ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના અવસરે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ 12મી માર્ચથી અમદાવાદના સાબરમતી આશ્રમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવશે. જેના અનુલક્ષમાં સાબરમતી આશ્રમના મુખ્ય કાર્યક્રમની સાથે મહત્વના 6 જિલ્લા સહિત વિવિધ 75 સ્થળોએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં મહાત્મા ગાંધીજીની કર્મભૂમિ અને અઝાદીની લડતનું કેંદ્રબિંદુ રહેલા અમદાવાદથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આઝાદીના અમૃત મહોત્સવનો શુભારંભ કરાવશે.
ભારતની આઝાદીના 75માં વર્ષે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ઉજવણી
ભારતની આઝાદીના 75માં વર્ષે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ઉજવણીનો કર્ટેન રેઇઝર કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે 12 માર્ચના રોજ યોજાશે. પીએમ મોદી શુક્રવારે સવારે 10 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. ત્યારબાદ પીએમ 10.30 કલાકે સાબરમતી આશ્રમ પહોંચશે. અહીં બપોરે 12.15 કલાક સુધી આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ભાગ લેશે. આ ઉજવણી અંતર્ગત સમગ્ર દેશમાં આગામી 75 અઠવાડિયા દરમિયાન 75 કાર્યક્રમો યોજાશે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો મુખ્ય હેતુ દેશભરમાં ભાષા અને રાજ્યવાર જનજાગૃતિ અને આંદોલન પ્રેરાય, ભારતનો ભવ્ય અને ગૌરવપૂર્ણ ભૂતકાળ ઉજાગર થાય સાથે ભારતના વિકાસને દર્શાવવાનો છે.
રાજ્યના 81 યાત્રીઓ જોડાશે
આજે વડાપ્રધાન મોદી જે ઐતિસાહિસક દાંડી યાત્રાનો પ્રારંભ કરાવવા જઈ રહ્યા છે તેમાં દેશના જુદા જુદા રાજ્યના 81 યાત્રીઓ જોડાશે. આ યાત્રીઓ મહાત્મા ગાંધી જે માર્ગે દાંડી ગયા હતા તે જ માર્ગે દાંડી યાત્રા કરશે
કરમસદ, બારડોલી, રાજકોટ, પોરબંદર અને માંડવી ખાતે ભવ્ય કાર્યક્રમોનું આયોજન
અમદાવાદના મુખ્ય કાર્યક્રમની સાથે દરેક જિલ્લામાં એક કાર્યક્રમ ઉપરાંત કરમસદ, બારડોલી, રાજકોટ, પોરબંદર અને માંડવી ખાતે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
શતાબ્દી સંકલ્પ 2047 લેવડાવશે
12મી માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતની પહોંચ વૈશ્વિક સ્તરે વધુ વ્યાપક કરવા અને જનભાગીદારીથી રાષ્ટ્રના વિકાસ માટે ‘શતાબ્દી સંકલ્પ 2047’ લેવડાવશે. આગામી એક વર્ષ દરમિયાન ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’, આત્મનિર્ભર ભારત, વિચાર, સિદ્ધિઓ અને ઉકેલ, ભારતનો સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસો, સ્વાતંત્ર્ય સેનાનીઓ, આઝાદી 2.0 જેવી થીમ પર રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોનું આયોજન કરાશે.