નવી દિલ્હીઃ આગામી નવ તારીખે આઈપીએલ મેચ શરૂ થવા જઈ રહી છે અને બીજી તરફ દેશમાં કોરોનાનો આતંક પણ યથાવત છે ત્યારે બીસીસીઆઈએ મહત્વની જાહેરાત કરી છે. બોર્ડના મતે ખેલાડીઓને કોરોના વેક્સીન લગાવવા માટે સ્વાસ્થ્ય મંત્રાલય સાથે વાત કરવામાં આવશે.
બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ એએનઆઈ સાથે વાત કરતા કહ્યું કે કોરોનાના વધી રહેલા કેસના કારણે મારા હિસાબથી ફક્ત ટિકાકરણ જ એકમાત્ર ઉપાય છે. કોઈ જાણતું નથી કે કોરોના ક્યારે ખતમ થશે અને તમે તેને લઈને કોઈ સમય સીમા નક્કી કરી શકતા નથી. તેમણે કહ્યું કે ખેલાડીઓની સુરક્ષા માટે ટિકાકરણ જરૂરી છે. જોકે પહેલા ખબર આવી હતી કે ખેલાડીઓને વેક્સીન લગાવવામાં આવશે નહીં.
જ્યારે રાજીવ શુક્લાને પૂછવામાં આવ્યું કે સ્વાસ્થ્ય મંત્રાલયથી ટિકાકરણ માટે લેખિતમાં કશું કહેવામાં આવ્યું કે તેમણે કહ્યું કે બોર્ડ તેના પર વિચાર કરી રહ્યું છે અને નિશ્ચિત રુપથી ટિકાકરણ માટે મંત્રાલયનો સંપર્ક કરવામાં આવશે.
તમને જણાવી દઇએ કે ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ ભારત અને ઇંગ્લેન્ડ શ્રેણી દરમિયાન વેક્સીન લગાવી હતી. જોકે ખેલાડીઓને લઈને હજુ સુધી કોઇ જાણકારી સામે આવી નથી.
બીજી તરફ બેંગલોરનો ઓપનર બેટ્સમેન દેવદત્ત પડિક્કલ કોરોના પોઝિટિવ આવ્યો છે. દેવદત્ત કોરોના પોઝિટિવ આવનાર ત્રીજો ખેલાડી છે. આ પહેલા કેકેઆરનો નીતિશ રાણા અને દિલ્હી કેપિટલ્સનો અક્ષર પટેલ કોરોના સંક્રમિત થયા છે. આઈપીએલ સાથે જોડાયેલ કુલ 20 લોકો કોરોનાથી પ્રભાવિત થઇ ચૂક્યા છે.