ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં જ્યારે કોરોના દિવસેને દિવસે વધારે વકરતો જાય છે ત્યારે ગુજરતાના મુખ્યમંત્રી સહિત તમામ કોરોના યોદ્ધાઓ ખડેપગે કામ કરી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે 11 કલાકે સોશિયલ મીડિયા થકી રાજ્યના લોકોને સંબોધન કર્યું છે. આ દરમિયાન તેઓએ રાજ્યના સ્વાસ્થ્યકર્મીઓને આભાર માન્યો હતો. તેમને સુપરહીરો ગણાવ્યા હતા અને છેલ્લા એક વર્ષથી તેઓ જે કામગીરી કરી રહ્યા છે તેમને બિરદાવી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, કોરોના હારશે અને ગુજરાત જીતશે.
મુખ્યમંત્રીના સંબોધનની મહત્ત્વની વાતો:
– કોરોના મહામારીમાં ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફનું ખૂબ મોટું યોગદાન રહ્યું. તેમને કોટી કોટી વંદન.
– એક વર્ષના વિરામ વગર એ લોકો એક જ કામ કરી રહ્યા છે. તેમની મનોદશા સમજી શકાય એવી છે.
– તમે જે કરી રહ્યા છો તે અસામાન્ય છે. કોરોના સામે લડાઈ લાંબી ચાલી છે.
– હતાશ થવાની કે થાકવાની જરૂરી નથી. બધા સાથે મળીને લડીશું. માનવતાની જીત થશે.
– આરોગ્યકર્મીઓ અમારા સુપરહીરો છે. કોરોના હારશે ગુજરાત જીતશે.
ગુરુવારે રાજ્યમાં કોરોના વાયરસના રેકોર્ડબ્રેક 8,152 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 81 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 44,298 થયો છે. મૃત્યુઆંક 5,000ને વટાવી ગયો. ગુરુવારે અમવાદામાં 2,672 કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 2672, સુરતમાં 1864, રાજોકોટમાં 762, વડોદરામાં 486, મહેસાણામાં 249, દામનગરમાં 311, ભરૂચમાં 161, નવસારીમાં 104, બનાસકાંઠામાં 103, ભાવનગરમાં 171, પંચમહાલમાં 87, પાટણમાં 82, કચ્છમાં 81, દાહોદમાં 97, સુરેન્દ્રમાં 72, અમરેલીમાં 74, ગાંધીનગરમાં 129, તાપીમાં 61, જૂનાગઢમાં 107, મહીસાગરમાં 57, સાબરકાંઠામાં 52, ખેડામાં 59, આણંદમાં 48, મોરબીમાં 48, વલસાડમાં 48, દેવભૂમિ દ્વારકામાં 46, નર્મદામાં 42, અરવલ્લીમાં 30, ગીરસોમનાથમાં 24, ડાંગમાં 16, પોરબંદરમાં 11 મળીને કુલ 8,152 નવા કેસ નોંધાયા છે.