અમદાવાદઃ થોડા મહિનાઓ પહેલા આયેશા નામની યુવતીએ પતિના ત્રાસના કારણે સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. જોકે, તાજેતરમાં મહિલા અને એક બાળકની લાશ મળતા ચકચાર મચી ગઈ હતી. આ કેસમાં રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે મૃતકના ફોટો અન્ય પોલીસ સ્ટેશનમાં અને અન્ય માધ્યમો દ્વારા બ્રોડકાસ્ટ કરતા મૃતકની ઓળખ થઈ છે. તપાસમાં સામે આવ્યું કે મૃતક પરિણીતાને તેના પતિએ ઝઘડો કરી પિયર મોકલી હતી અને બાદમાં તેડી ગયો ન હતો.
ગત 12મીએ તે એક ગાર્ડન પાસે તેના પતિને મળવા ગઈ હતી અને બાદમાં ઘરે પરત આવી ન હતી. ત્યારબાદ 15મીએ તેની લાશ મળતા આ મામલો ઉજાગર થયો હતો. આ કેસમાં મૃતકના નાનીએ મહિલાના પતિ વિરુદ્ધ દુષપ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. તપાસમાં સામે આવ્યું કે મૃતક મહિલા તેના મામાના દીકરાની પત્ની એટલે કે તેના ભાભી ગર્ભવતી હોવાથી દશામાના વ્રત દરમિયાન ત્યાં ગઈ હોવાથી પતિએ પિયર તગેડી મૂકી હતી. આ બાબતે હવે રિવરફ્રન્ટ પોલીસે તપાસ શરૂ કરી છે.
શાહપુરમાં આવેલા શંકરભુવનના છાપરામાં રહેતા 70 વર્ષીય સતી બહેને ફરિયાદ નોંધાવતા પોલીસ સમક્ષ જણાવ્યું કે, તેમને સંતાનમાં છ બાળકો હતા. જેમાંથી ચારનાં મૃત્યુ થઈ ચૂક્યા છે. તેમની એક પુત્રીના ઇસનપુર ખાતે રહેતા એક યુવક સાથે લગ્ન કરાવ્યા હતા. બાદમાં પતિ નશો કરતો અને મજૂરી ન કરતા છૂટાછેડા થયા હતા. જે સંબંઘ દરમિયાન એક પુત્રી સુનિતા હતી. આ સુનિતા સતી બહેન પાસે રહીને મોટી થઈ હતી. સનીતાના લગ્ન સાણંદ ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. જોકે, સુનિતાને શાહપુરના કોઈ યુવક સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થતાં તેના પતિએ લગ્નના થોડાક જ સમયમાં છૂટાછેડા આપી દીધા હતા.
બાદમાં પરિવારના સભ્યોએ સુનિતા અને તેના પ્રેમી દીપકના લગ્ન કરાવ્યા હતા. છ મહિના સુધી દીપકે સુનિતાને સારી રીતે રાખી હતી. આ દરમિયાન સુનિતાને એવી પણ જાણ થઈ કે દીપકને અન્ય એક સ્ત્રી સાથે પણ પ્રેમ સંબંધ છે. જેથી બંને વચ્ચે ઝઘડો થતા દીપક માર મારીને સુનિતાને પિયર મૂકી ગયો હતો.
આ દરમિયાન સુનિતાને છ માસનો ગર્ભ હતો. છ મહિના સુનિતા તેની નાની પાસે રહી પરંતુ પતિ સામે અરજી થતા સુનિતા તેને છોડાવવા માટે ગઈ હતી. જે બાદમાં પતિ દીપક તેને બાળક સાથે તેડી ગયો હતો. જોકે, બાદમાં મામાના દીકરાની પત્નીના ઘરે દશામાના વ્રત દરમિયાન જવા બાબતે ઝઘડો કરી દીપકે તેને પાછી કાઢી મૂકી હતી. દશામાના વ્રત પૂરા થશે એટલે લઈ જઈશ તેવું કહી દીપક સુનિતાને મોકલી દીધી હતી.
ગત 12મીએ સુનિતા તેના ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારે તે ક્યાં જાય છે તે તપાસ કરવા ઘરની એક દીકરીને તેની પાછળ મોકલી ત્યારે તે તેના પતિ દીપકને એક ગાર્ડન બહાર મળવા ગઈ હોવાનું જણાયું હતું. બાદમાં તે ઘરે પરત આવી ન હતી. આ દરમિયાન 15મીએ સતી બહેનના ઘરે પોલીસ આવી હતી અને સાબરમતી નદીમાં એક મહિલા અને તેના નાના પુત્રની મળેલી લાશના ફોટો બતાવતા આ લાશ તેઓએ ઓળખી બતાવી હતી. પોલીસ તપાસ દરમિયાન પતિના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનું સામે આવતા પોલીસે આ મામલે દીપક સામે દુષપ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.