નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે. કોરોનામાં ઑક્સીમીટર શબ્દ વારંવાર સાંભળવા મળી રહ્યો છે. ડૉકટરોના મત મુજબ જે દર્દીઓમાં કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે, તેમણે પ્રોટોકોલનું પાલન કરીને ઑક્સીમીટરનો ઘરે ઉપયોગ કરવો જોઈએ. ઑક્સીમીટરની મદદથી તમને એ વાતનો ખ્યાલ આવી શકે છે દર્દીને હોસ્પિટલ લઈ જવાની જરૂરિયાત ક્યારે છે અને જરૂરિયાતમંદ લોકોનો યોગ્ય સમયે પર ઈલાજ થઈ શકે છે.
ઑક્સીમીટરની જરૂરિયાત શા માટે છે?
ઑક્સીમીટર તમારા લોહીમાં ઑક્સીજનની તપાસ કરે છે. આ ઉપકરણની મદદથી રક્તકણ એક જગ્યાએથી બીજી જગ્યાએ કેટલા ઑક્સીજનનું પરિવહન કરે છે તે વિશે જાણી શકાય છે. લોહીમાં ઑક્સીજનના પ્રવાહને કારણે દરેક અંગ કાર્યરત રહે છે, જે જીવિત રહેવા માટે જરૂરી છે.
વાયરસ ફેંફસા પર કરે છે ગંભીર વાર
કોરોના વાયરસ ફેંફસાઓને નુકસાન પહોંચાડે છે. સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓના શરીરમાં અચાનક ઑક્સીજનનું સ્તર ઘટી જાય છે. આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાય તે માટે હોમ આઈસોલેટ થયેલા દર્દીઓના લોહીમાં ઑક્સીજનની નિયમિત તપાસ કરવાની જરૂરિયાત છે. ઑક્સીમીટરની મદદથી શરીરમાં ઑક્સીજનનું સ્તર ઘટે તો તેની ખબર પડે છે, જેથી દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જઈને સારવાર કરાવી શકાય છે.
કોના માટે જરૂરી છે?
બાળકો અને સ્વસ્થ વ્યક્તિ માટે આ ઉપકરણની જરૂરિયાત નથી, પરંતુ કોરોના સંક્રમિત થવા પર દરેક વ્યક્તિ માટે જરૂરી છે. અસ્થમા, હ્રદયરોગ અને ક્રોનિક ઑબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝના દર્દીઓમાં ઑક્સીજનની નિયમિત તપાસ કરવી જરૂરી છે.
ઑક્સીમીટર શું છે?
ઑક્સીમીટરને પોર્ટેબલ પલ્સ ઑક્સીમીટર પણ કહેવામાં આવે છે. આ ઉપકરણ ખૂબ જ નાનું હોવાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. આ ઉપકરણ કપડાં પર લગાવવાની ક્લિપ જેવું દેખાય છે, જેને ઓન કરીને હાથની આંગળીઓમાં લગાવવામાં આવે છે. ઑક્સીમીટરની સ્ક્રીન પર ઑક્સીજનનું સ્તર જોવા મળે છે. આ ઉપકરણમાં પલ્સ પણ જોવા મળે છે. કોરોનાના દર્દીઓની થોડાં થોડાં કલાકના અંતરે તપાસ કરવામાં આવે તો તેમના ફેફસાં યોગ્ય રીતે કામ કરે છે કે કેમ, તે વિશે ખબર પડે છે.
એક્યુરેસી કેવી છે?
ઑક્સીમીટરના રીડિંગમાં 2 ટકાની વધ-ઘટ હોવાની શક્યતા છે, જેને એરર વિંડો કહેવામાં આવે છે. ઑક્સીમીટરની સ્ક્રીન પર બતાવવામાં આવેલ રીડિંગ કરતા દર્દીમાં બ્લડ ઑક્સીજન લેવલ 2 પોઈન્ટ વધુ કે ઓછું હોઈ શકે છે. ઓછી એક્યુરેસી બાદ પણ જલ્દીથી રિઝલ્ટ આવવાને કારણે કોરોનાના દર્દીઓને હોમ આઈસોલેટ દરમિયાન ઑક્સીમીટરની મદદથી તપાસ કરવાનું કહેવામાં આવે છે.
કેવી રીતે ઉપયોગ કરવો?
પલ્સ ઑક્સીમીટરનો ખૂબ જ સરળતાથી ઉપયોગ કરી શકાય છે. જો તમારા નખ ઉપર ઘાટા રંગની નેઈલપૉલિશ હોય તો રીડિંગ ખોટું આવી શકે છે. જેથી નેઈલપૉલિશ કાઢ્યા બાદ આંગળી પર લગાવવું. વધુ પડતા ઠંડા તાપમાનમાં પણ ઑક્સીમીટરની એક્યુરેસીમાં ગરબડ આવી શકે છે, જેથી હાથ ઠંડા ન હોવા જોઈએ.
લોહીમાં ઑક્સીજનનું સ્તર કેટલું હોવું જોઈએ?
લોહીમાં ઑક્સીજનનું સ્તર કેટલું હોવું જોઈએ તે જાણવું જરૂરી છે. સ્વસ્થ વ્યક્તિના શરીરમાં ઑક્સીજનનું સ્તર 95થી 100 ટકાની વચ્ચે હોય છે. જો શરીરમાં ઑક્સીજન સ્તર 95થી ઓછું આવે છે તો ફેંફસામાં તકલીફ થઈ રહી હોવાનું દર્શાવે છે. ઑક્સીજનનું સ્તર 94થી નીચે જાય તો સચેત થવું જરૂરી છે અને 93થી નીચે જાય તો દર્દીને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવાની જરૂર છે. ઑક્સીજનનું સ્તર નીચે જવાથી શરીરની 8 ટકા કોશિકાઓ કામ નથી કરી રહી તેનો સંકેત આપે છે.
ઑક્સીમીટર ક્યાં મળી શકે?
કોરોનાના સમયમાં દરેક ઘરમાં ઑક્સીમીટર રાખવાની સલાહ આપવામાં આવી રહી છે, જેથી હોમ આઈસોલેટ થયેલ દર્દીમાં ઑક્સીજનનું સ્તર જોઈ શકાય. ઑક્સીમીટર કોઈપણ મેડિકલ દુકાનમાં મળી શકે છે અને ઓનલાઈન પણ મંગાવી શકાય છે. ઑક્સીમીટર રૂ. 100થી લઈને રૂ. 1000 સુધીમાં મળી શકે છે, અલગ અલગ બ્રાંડના ઑક્સીમીટરના અલગ અલગ ભાવ હોય છે.