૮ નવેમ્બર એટલે આજે નોટબંધીની વરસી, આજના દિવસે ભાજપ એન્ટી બ્લેક મની ડેની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સવારે એક વીડિયોના માધ્યમથી ફરી એકવાર નોટબંધીના ફાયદા ગણાવ્યા અને દેશવાસીઓને તેમના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો. વીડિયોમાં આંકડાઓ સાથે જણાવવામાં આવ્યું છે કે નોટબંધી અર્થવ્યવસ્થા માટે કઈ રીતે ફાયદાકારક સાબિત થઈ છે. વડાપ્રધાન મોદીએ એક સર્વેના માધ્યમથી તેમનો અભિપ્રાય પણ જાણવાનો પ્રયત્ન કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વાર ફરી સોશિયલ માધ્યમનો સહારો લીધો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધી બાબતે ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું કે, ભ્રષ્ટાચાર અને બ્લેકમનીને મૂળમાંથી કાઢવા માટે સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા અનેક પગલાઓનું દ્રઢતાપૂર્વક સમર્થન કરવા માટે હું ભારતના લોકોનો આભાર માનું છું. તેમણે લખ્યું કે, 125 કરોડ ભારતીયોએ એક નિર્ણાયક લડાઈ લડી અને જીત મેળવી છે. આ સિવાય વડાપ્રધાને નોટબંધી પર બનાવવામાં આવેલી એક શોર્ટ ફિલ્મ પણ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કરી છે.
આ શોર્ટ ફિલ્મમાં નોટબંધીના તમામ લાભ ગણાવાવમાં આવ્યા છે. નોટબંધીને ગરીબો અને પ્રામાણિક નાગરિકોના પક્ષમાં જણાવતાં કહેવામાં આવ્યું છે કે, 1000 અને 500ની જૂની નોટ બંધ થવાને કારણે ગરીબો અને ઈમાનદાર લોકોની ઉંઘ નથી ઉડી. નોટબંધીને કારણે દેશનું કાળું નાણું બેન્કોમાં પાછુ આવી ગયુ છે અને આજે સરકાર પાસે તેના માલિકોનાં નામ, સરનામા ઉપલબ્ધ છે. 23 લાખ બેન્ક અકાઉન્ટ્સમાં જમા થયેલી 3.68 લાખ કરોડની રકમ તપાસનો વિષય છે.
આજે નોટબંધી પર ભાજપ એન્ટી બ્લેક મની ડે ઉજવે છે જયારે કોંગ્રેસ આજના દિવસને બ્લેક ડે તરીકે ઉજવી રહ્યો છે.