નવી દિલ્હીઃ કેન્દ્રમાં બહુમતી સાથે સત્તા ઉપર આવેલી ભારતીય જનતા પાર્ટી એટલે કે મોદી સરકારના સાત વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાતમાં સરકારની મોટી ઉપલબ્ધીઓ ગણાવી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટી મોદી સરકારની સાત વર્ષમાં કરેલી મોટી ભૂલો ગણાવી રહી હતી. કૉંગ્રેસ તરફથી સરકારના આ સાત વર્ષના કાર્યકાળ દરમિયાન તેમની પર 7 અપરાધિક ભૂલ કરવાના આરોપ પણ લગાવ્યા છે. પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, આ મોદી સરકાર દેશ માટે હાનિકારક છે.
મોદી સરકારની સાત મોટી ભૂલો
1. ‘અર્થવ્યવસ્થા’ બની ‘ગર્ત વ્યવસ્થા’
2014માં જ્યારે મોદી સરકાર સત્તામાં આવી તો તેને વારસામાં કૉંગ્રેસ કાર્યકાળનો સરેરાશ 8.1 ટકાનો જીડીપી વૃદ્ધિ દર મળ્યો. પરંતુ કોરોના મહામારી પહેલા જ મોદી સરકારના નાણાકીય મિસમેનેજમેન્ટના કારણે જીડીપીનો દર 2019-2020માં 4.2 ટકા રહી ગયો.
2. બેરોજગારી બની મહામારી
મોદી સરકાર દર વર્ષે બે કરોડ રોજગાર આપવાનો વાયદો કરીને સત્તામાં આવી. સાત વર્ષમાં 14 કરોડ રોજગાર આપવાનું તો દૂર રહ્યું, દેશમાં છેલ્લા 45 વર્ષમાં સૌથી વધુ ચારેતરફ બેરોજગારી છે.
3. કમરતોડ મોંઘવારીની માર, ચારે તરફ હાહાકાર
એક તરફ કોરોના મહામારી અને બીજી તરફ સરકાર નિર્મિત મોંઘવારી, બંને દેશવાસીઓની દુશ્મન બની. ખાદ્ય પદાર્થોથી લઈને તેલના ભાવ આસામાને છે. તેનું સૌથી જ્વલંત ઉદાહરણ એ છે કે અનેક પ્રાંતોમાં પેટ્રોલ 100 રૂપિયા લીટર અને સરસિયાનું તેલ 200 રૂપિયા લીટરને પાર કરી ગયું છે.
4. ખેડૂતો પર અહંકારી સત્તા પર પ્રહાર
આઝાદ ભારતના ઈતિહાસમાં પહેલી સરકાર છે જે ખેડૂતોની આજીવિકા છીનવીને પૂંજીપતિ દોસ્તોના ઘર ભરવા માંગે છે ઉપરાંત અન્નદાતાની પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચાડી રહી છે. ક્યારેક તેમની પર લાઠી વરસાવે છે, ક્યારેક તેમને આતંકી ગણાવે છે, ક્યારેક રસ્તાઓ પર ખીલ્લા અને કાંટાળી તાર લગાવે છે.
5. ગરીબ અને મધ્યમ વર્ગ પર માર
વર્લ્ડ બેંકનો રિપોર્ટ કહે છે કે ભારતમાં યૂપીએ-કૉંગ્રેસના 10 વર્ષના કાર્યકાળમાં 27 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા હતા. પરંતુ મોદી સરકારના 7 વર્ષ બાદ PEW રિસર્ચ સેન્ટરના રિપોર્ટ મુજબ, વર્ષ 2020માં જ દેશના 3.20 કરોડ લોકો હવે મધ્યમ વર્ગની શ્રેણીથી જ બહાર થઈ ગયા છે. આ ઉપરાંત 23 કરોડ ભારતીય ફરી એકવાર ગરીબી રેખાની નીચેની શ્રેણીમાં સામેલ થઈ ગયા. ગરીબીને બદલે મોદી સરકારે ગરીબો પર વાર કર્યો છે.
6. મહામારીની માર, નિષ્ફળ સરકાર
કોરોના મહામારીના મિસમેનેજમેન્ટના કારણે દેશમાં લાખો લોકોએ તડપી-તડપીને પોતાના જીવ ગુમાવ્યા. જોકે મોતના સરકારી આંકડા 3,22,512 છે, પરંતુ હકીકત તેનાથી અનેકગણી ભયાનક છે. કોરોના મહામારીએ ગામ, કસ્બા અને શહેરોમાં લાખો લોકોના પ્રિયજનોને છીનવી લીધા. પરંતુ મોદી સરકાર દેશ પ્રત્યે જવાબદારીથી પીછો છોડાવીને ભાગી ગઈ.
7. રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં
મોદી સરકાર દેશની સંપ્રભૂતા અને સરહદોની રક્ષા કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે. ચીનને લાલ આંખ દેખાડવી તો દૂર રહી, બીજેપી સરકાર ચીનને લદાખમાં આપણી સરહદની અંદર કરવામાં આવેલા અતિક્રમણથી પરત ધકેલી ન શકી.