અસમની નુમાલીગઢ રિફાઇનરીથી સપ્લાય શરૂ: ૪૪ કલાકમાં પરબતીપુર ડેપો પહોંચશે ભારતીય ડીઝલ
પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૂ-રાજકીય તણાવ અને વૈશ્વિક તેલ બજારમાં સર્જાયેલી ભારે અસ્થિરતાની સીધી અસર હવે ભારતના પડોશી દેશો પર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સમુદ્રી માર્ગો પરથી ઈંધણનો પુરવઠો ખોરવાતા બાંગ્લાદેશમાં ગંભીર ઊર્જા સંકટ ઊભું થયું છે. આ પરિસ્થિતિ વચ્ચે બાંગ્લાદેશે તાત્કાલિક ભારત પાસેથી મદદ માગી છે. ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશીપ પાઇપલાઇન મારફતે ભારતે અસમની નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડમાંથી આશરે ૫,૦૦૦ મેટ્રિક ટન ડીઝલનો જથ્થો બાંગ્લાદેશ મોકલવાનું શરૂ કરી દીધું છે.
નુમાલીગઢ રિફાઇનરીથી પરબતીપુર સુધી પમ્પિંગ શરૂ
બાંગ્લાદેશ પેટ્રોલિયમ કોર્પોરેશન (BPC) ના સત્તાવાર અધિકારીઓએ જણાવ્યા અનુસાર, અસમ સ્થિત રિફાઇનરીમાંથી ડીઝલનું પમ્પિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. દર કલાકે આશરે ૧૧૩ મેટ્રિક ટન ડીઝલ પાઇપલાઇન દ્વારા મોકલવામાં આવી રહ્યું છે. આ સમગ્ર કન્સાઇન્મેન્ટ અંદાજે ૪૪ કલાકના સમયગાળામાં ઉત્તર બાંગ્લાદેશના દિનાજપુર સ્થિત પરબતીપુર ડેપો સુધી પહોંચી જવાની પૂરેપૂરી સંભાવના છે.
ભારતના સિલિગુડી માર્કેટિંગ ટર્મિનલને ઉત્તર બાંગ્લાદેશના પરબતીપુર ડેપો સાથે જોડતી આ ૧૩૧ કિલોમીટર લાંબી ક્રોસ-બોર્ડર પાઇપલાઇન વર્ષ ૨૦૨૩ માં સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી હતી. આ પાઇપલાઇન અસ્તિત્વમાં આવી તે પહેલાં ભારતમાંથી બાંગ્લાદેશમાં ડીઝલ પહોંચાડવા માટે રેલવે વેગનનો ઉપયોગ કરવામાં આવતો હતો, જે સમય અને ખર્ચ બંને દ્રષ્ટિએ અત્યંત મોંઘું સાબિત થતું હતું. હવે આ પાઈપલાઈન મારફતે ઝડપી અને ઓછા ખર્ચે ઈંધણ પહોંચાડવું શક્ય બન્યું છે.
વાર્ષિક કરાર અને વધારાના જથ્થાની માંગ
બીપીસીના ચેરમેન મુહમ્મદ રેઝાનુર રહેમાને આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે આ શિપમેન્ટ બંને દેશો વચ્ચે થયેલા લાંબા ગાળાના દ્વિપક્ષીય કરારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ કરાર હેઠળ ભારત દર વર્ષે પાઇપલાઇન મારફતે આશરે ૧,૮૦,૦૦૦ મેટ્રિક ટન ડીઝલનો પુરવઠો બાંગ્લાદેશને પૂરો પાડે છે.
વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ઉત્તર બાંગ્લાદેશમાં ખેતીવાડી, પરિવહન અને વીજળી ઉત્પાદન માટે ઈંધણનો પૂરતો સ્ટોક જાળવી રાખવો અત્યંત જરૂરી બન્યો છે. આ જ કારણસર બાંગ્લાદેશે આગામી ચાર મહિનાની અંદર આ જ પાઇપલાઇન દ્વારા ભારત પાસેથી વધારાના ૫૦,૦૦૦ મેટ્રિક ટન ડીઝલની આયાત કરવા માટે નવો પ્રસ્તાવ મૂક્યો છે, જેના પર હાલમાં ભારત સરકાર વિચારણા કરી રહી છે. ભારતના આ સકારાત્મક વલણથી બાંગ્લાદેશને મોટા આર્થિક અને ઊર્જા સંકટમાંથી ઉગારી લેવામાં સફળતા મળશે.