હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે મહત્વના સમાચાર: જાણો કઈ દવાઓ પર ઉઠ્યા સવાલો
હાઈ બ્લડ પ્રેશર (હાઈપરટેન્શન) ની સારવાર માટે નિયમિત લેવાતી દવાઓ શું કેન્સરનું કારણ બની શકે છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના સંશોધન એકમ, ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC) દ્વારા કરવામાં આવેલા તાજેતરના એક સંશોધન બાદ વૈશ્વિક સ્તરે અને ભારતમાં તબીબી ક્ષેત્રે મોટો ખળભળાટ મચી ગયો છે. IARC એ હાઈ બ્લડ પ્રેશર, ફંગલ ઈન્ફેક્શન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ (અંગ પ્રત્યારોપણ) ની સારવારમાં વપરાતી કેટલીક અતિ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રચલિત દવાઓને ‘કાર્સિનોજેનિક’ (કેન્સર નોતરી શકે તેવા તત્વો) તરીકે વર્ગીકૃત કરી છે.
કઈ દવાઓ પર ઉઠ્યા સવાલો અને શું છે ગ્રુપ ૧ કાર્સિનોજેનિક?
IARC મોનોગ્રાફ્સના વોલ્યુમ ૧૩૭ માં પ્રકાશિત સંશોધન મુજબ, હાઈ બ્લડ પ્રેશર માટે વપરાતી ‘હાઈડ્રોક્લોરોથિયાઝાઈડ’ (Hydrochlorothiazide), ગંભીર ફંગલ ચેપ માટે વપરાતી ‘વોરીકોનાઝોલ’ (Voriconazole) અને અંગ પ્રત્યારોપણ બાદ દર્દીઓને અપાતી ‘ટેક્રોલિમસ’ (Tacrolimus) દવાઓને કાર્સિનોજેનિક ગ્રુપ ૧ (Group 1 Carcinogenic) માં મૂકવામાં આવી છે.
જ્યારે કોઈ પણ દવા કે કેમિકલને આ જૂથમાં મૂકવામાં આવે છે, ત્યારે તેનો અર્થ એ થાય છે કે વૈજ્ઞાનિક પુરાવા, માનવ સંશોધન અને પ્રાણીઓ પરના પરીક્ષણોના આધારે તે મનુષ્યમાં કેન્સરનું જોખમ ઊભું કરી શકે છે તેમ સાબિત થયું છે. ભારતમાં આજે ૨૩૦ થી ૨૪૦ મિલિયન પુખ્ત વયના લોકો એટલે કે દર ૩ માંથી ૧ વ્યક્તિ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે, જેના કારણે આ રિપોર્ટ અત્યંત સંવેદનશીલ બની ગયો છે.
ત્વચા અને હોઠના કેન્સરનું જોખમ અને સૂર્યપ્રકાશનો સંબંધ
ધર્મશિલા નારાયણ હોસ્પિટલના રેડિયેશન ઓન્કોલોજી ડિરેક્ટર ડૉ. કનિકા સૂદ શર્માના જણાવ્યા અનુસાર, હાઈડ્રોક્લોરોથિયાઝાઈડ લેતા તમામ દર્દીઓ માટે કેન્સરનું જોખમ એકસરખું હોતું નથી. જે દર્દીઓ વર્ષોથી ઉચ્ચ ડોઝ લે છે અથવા જેઓ લાંબા સમય સુધી સૂર્યપ્રકાશ (તડકા) ના સીધા સંપર્કમાં રહે છે, તેમના માટે જોખમ વધારે રહેલું છે.
આ દવાઓ ત્વચાની સૂર્યપ્રકાશ પ્રત્યેની સંવેદનશીલતા (Photosensitivity) વધારી દે છે. પરિણામે ત્વચાનું કેન્સર ખાસ કરીને ‘બેઝલ સેલ કાર્સિનોમા’ (Basal Cell Carcinoma) અને હોઠનું કેન્સર થવાની શક્યતા વધી જાય છે. ભારતમાં ખેડૂતો, મજૂરો અને બહાર તડકામાં કામ કરતા લોકો જો આ દવાનું સેવન કરતા હોય, તો તેમણે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે.
દર્દીઓએ ગભરાવાની જરૂર નથી: ડોક્ટરોની સલાહ
આંતરરાષ્ટ્રીય અહેવાલ સામે આવ્યા બાદ પણ દેશના નામાંકિત ડોક્ટરો અને કેન્સર નિષ્ણાતો દર્દીઓને સહેજ પણ ન ગભરાવાની સલાહ આપી રહ્યા છે. તબીબોનું સ્પષ્ટ કહેવું છે કે કોઈ પણ દર્દીએ ડોક્ટરની સલાહ લીધા વિના પોતાના મનથી બ્લડ પ્રેશર કે અન્ય કોઈ પણ દવા અચાનક બંધ કરવી જોઈએ નહીં. દવાઓ અચાનક બંધ કરવાથી બ્લડ પ્રેશર શૂટ-અપ થઈ શકે છે, જે હાર્ટ એટેક કે સ્ટ્રોક જેવું તાત્કાલિક જીવન જોખમ ઊભું કરી શકે છે.
જો કોઈ દર્દી આ દવાઓ લઈ રહ્યો હોય અને તેમની ત્વચા પર કોઈ નવો મસો, છાલા, કાળો દાગ કે કોઈ અસામાન્ય ફેરફાર દેખાય, તો તેમણે ત્વરિત ત્વચારોગ વિજ્ઞાની (Dermatologist) અથવા પોતાના ફિઝિશિયનનો સંપર્ક કરવો જોઈએ. યોગ્ય દર્દીને યોગ્ય માત્રામાં દવા આપવી અને તેનું નિયમિત ચેક-અપ કરવું એ જ આ પરિસ્થિતિનો સાચો અને સુરક્ષિત ઉકેલ છે.