સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને અધિક સચિવના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી. જેમાં રાહત કમિશનરે જણાવ્યુ કે, આજે સવારે 6 થી બપોરના 2 સુધી રાજયમાં 8 જિલ્લાના 12 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે નવસારી તાલુકામાં 13 મી.મી વરસાદ પડ્યો છે. રાજયમાં 24 ઓગસ્ટ સુધી 350.33મી.મી. વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ 840 મી.મી.ની સરખામણીએ 41.71 ટકા છે. હવામાન વિભાગ મુજબ, આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની સંભાવના છે.
આગામી સપ્તાહે દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની સંભાવના
IMDના અધિકારીએ જણાવ્યુ છે કે, પાંચ દિવસની હવામાનની આગાહી જોતાં ગુજરાત રાજયમાં હાલ ઓછા વરસાદની સંભાવના છે. જો કે આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની સંભાવના રહેલી છે. કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું કે, ચાલુ વર્ષે 23 ઓગસ્ટ સુધીમાં અંદાજીત 80.06 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન 80.64 લાખ હેક્ટર વાવેતર થયેલું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 93.59 ટકા વાવેતર થયુ છે.
હાલ સરદાર સરોવર ડેમમાં 45 ટકા પાણીનો સંગ્રહ
સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ના અધિકારીએ જણાવ્યુ હતું કે, સરદાર સરોવર જળાશયમાં હાલ 1,52,544 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 45.66 ટકા છે. સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, રાજયના 206 જળાશયોમાં 2,82,489 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના 50.68 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-7 જળાશય, એલર્ટ ૫ર કુલ-08 જળાશય તેમજ વોર્નિંગ ઉ૫ર-06 જળાશય છે.
NDRFની 8 ટીમો ડિપ્લોય કરાઈ
એન.ડી.આર.એફ.ની કુલ 15 ટીમમાંથી 8 ટીમો ડીપ્લોય કરવામાં આવેલી છે. જે પૈકી વલસાડ, સુરત, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ, જુનાગઢ, કચ્છ અને મોરબી ખાતે 1-1 ટીમ ડીપ્લોય કરવામાં આવી છે. અને 6-ટીમ વડોદરા અને 1-ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવી છે. વન વિભાગ, મત્સ્ય વિભાગ, ઉર્જા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, જી.એમ.બી., કોસ્ટગાર્ડ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, જી.એસ.આર.ટી.સી. તથા ઇસરો, બાયસેગ, જળસં૫તિ અને સરદાર સરોવર નિગમ લિમિટેડના અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાયા હતા અને ચોમાસુ અંગે તમામ ૫રિસ્થિતિમાં ૫હોંચી વળવા સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું જણાવ્યું હતું.